RBIએ સતત ચોથી વખત વ્યાજદરો 6.5% પર યથાવત્ રાખ્યા છે. એટલે કે તમારો EMI વધશે નહીં. RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે શુક્રવારે મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયો વિશે માહિતી આપી હતી. નાણાકીય નીતિ સમિતિની બેઠક 4 ઓક્ટોબરના રોજ શરૂ થઈ હતી.
રેપો રેટ 6.50% પર સ્થિર રાખ્યો
હાલમાં, રેપો રેટ 6.50 ટકા છે અને નિષ્ણાતો પહેલેથી જ તે સ્થિર રહેવાની અપેક્ષા રાખતા હતા. ગયા વર્ષે કેન્દ્રીય બેન્ક તેની ટોચે પહોંચેલા મોંઘવારી દરને અંકુશમાં લેવા માટે, આ દર એક પછી એક ઘણી વખત વધારવામાં આવ્યો હતો. મે 2022માં રેપો રેટ 4 ટકા હતો, જે ફેબ્રુઆરી 2023 સુધીમાં 6.50 ટકા સુધી પહોંચી ગયો હતો. જો કે ત્યાર પછી તેને યથાવત્ રાખવામાં આવ્યો છે. શક્તિકાંત દાસે કહ્યું કે વિશ્વમાં પડકારો હોવા છતાં, ભારત ગ્રોથ એન્જિન બનેલું છે.
RBIએ ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો. ત્યારપછી આમાં કોઈ ફેરફાર થયો નથી. નાણાકીય નીતિની બેઠક દર બે મહિને થાય છે. આ નાણાકીય વર્ષની પ્રથમ બેઠક એપ્રિલમાં મળી હતી. જ્યારે ગત નાણાકીય વર્ષમાં રેપો રેટમાં 6 વખતમાં 2.50%નો વધારો કરવામાં આવ્યો હતો.
તમામ સભ્યો દરો સ્થિર રાખવાની તરફેણમાં હતા
RBI ગવર્નરે કહ્યું કે તમામ MPC સભ્યો પોલિસી રેટ સ્થિર રાખવાના પક્ષમાં હતા. આરબીઆઈએ પણ તેનાં ધોરણોમાં કોઈ ફેરફાર કર્યો નથી. 6માંથી 5 સભ્યો અનુકૂળ વલણ જાળવવાની તરફેણમાં છે.
મોંઘવારી સામે લડવા માટે રેપો રેટ એક શક્તિશાળી ટૂલ છે
RBI પાસે રેપો રેટના રૂપમાં ફુગાવા સામે લડવા માટે એક શક્તિશાળી ટૂલ છે. જ્યારે ફુગાવો ઘણો વધુ હોય છે, ત્યારે RBI રેપો રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડવાનો પ્રયાસ કરે છે. જો રેપો રેટ ઊંચો રહેશે તો બેંકોને RBI પાસેથી જે લોન મળશે તે મોંઘી થશે. બદલામાં, બેંકો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી બનાવે છે. આ અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડે છે. જો નાણાંનો પ્રવાહ ઘટે તો માંગ ઘટે અને ફુગાવો ઘટે.
એ જ રીતે, જ્યારે અર્થવ્યવસ્થા ખરાબ તબક્કામાંથી પસાર થાય છે, ત્યારે રિકવરી માટે નાણાંનો પ્રવાહ વધારવાની જરૂર છે. આવી સ્થિતિમાં RBI રેપો રેટમાં ઘટાડો કરે છે. આના કારણે બેંકો માટે RBI તરફથી લોન સસ્તી થઈ જાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે. ચાલો આ ઉદાહરણથી સમજીએ. જ્યારે કોરોનાના સમયગાળા દરમિયાન આર્થિક પ્રવૃત્તિઓ અટકી ગઈ, ત્યારે માંગમાં ઘટાડો થયો. આવી સ્થિતિમાં RBIએ વ્યાજદરમાં ઘટાડો કરીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ વધાર્યો હતો.
આરબીઆઈ ફુગાવો અને જીડીપી અંદાજ પણ જાહેર કર્યો
RBI ગવર્નર ફુગાવાના અંદાજો અને GDP અંદાજો પણ જાહેર કર્યો. FY24 માટે ફુગાવાનો અંદાજ 5.4% પર જાળવી રાખવામાં આવ્યો છે. છેલ્લી મિટિંગમાં તે 5.1% થી વધારીને 5.4% કરવામાં આવ્યો હતો. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે સપ્ટેમ્બરમાં ફુગાવો ઘટવાની આશા છે.
FY24 માટે રિયલ GDP વૃદ્ધિનો અંદાજ 6.5% પર જાળવી રાખવામાં આવ્યો છે. તેમજ, નાણાકીય વર્ષ 25ના પ્રથમ ક્વાર્ટર માટે રિયલ GDP અંદાજ પણ 6.6% પર જાળવવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે જિયોપોલિટિકલ કટોકટીના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી છે.






Leave a comment