રખડતાં ઢોર મુદ્દે વધુ સુનાવણી 1 ડિસેમ્બરે

આજે રખડતાં ઢોર, રસ્તા, ટ્રાફિક મુદ્દે ચાલી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે કહ્યું હતું કે, માલધારીઓ કાયદા મુજબ પગલાં લઈ શકે છે, પરંતુ જો નિકોલ જેવી ઘટના ફરી બની તો કોર્ટ સખત પગલાં લેશે. AMCએ જણાવ્યું હતું કે, કોર્ટનો ખરો તિરસ્કાર ઓથોરિટી નહિ પરંતુ પશુમાલિકો કરી રહ્યા છે. સાથે જ AMCએ જણાવ્યું હતું કે, અમે ઢોરના પ્રાઈવેટ વાડામાં જઈશું. માલધારી સમાજના વકીલે કોર્ટને કહ્યું હતું કે, અમારી સાથે ગાઝાના લોકો જેવું વર્તન થઈ રહ્યું છે, અમને શહેરની બહાર ધકેલી દેવાના હોય તેવું લાગી રહ્યું છે. રખડતાં ઢોર, રસ્તા અને ટ્રાફિક મુદ્દે હવે દિવાળી વેકેશન બાદ 1 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.

તમે માલધારીઓને સમજાવો

માલધારી સમાજના વકીલે રજૂઆત કરી હતી કે, લાયસન્સધારક પશુમાલિકોના વાડામાં AMC ઓફિસર ઘૂસી જાય છે. તેઓ પોલીસ સાથે નહિ પરંતુ પ્રાઈવેટ બાઉન્સર સાથે અને લાકડીઓ સાથે આવે છે, તેમની પાસે તેના ફોટા છે. તેઓએ મહિલાઓને માર માર્યો છે. જે સંદર્ભે કોર્ટે કહ્યું હતું કે તમે એક તરફની ના કરો, અમદાવાદના શાહીબાગમાં DYMC ઉપર થયેલ હુમલો જોયો! નિકોલ અને ઓઢવમાં AMCના કર્મચારીઓ સાથે ઢોર માલિકોએ શું કર્યું તે જોયું! AMC કર્મચારી ઉપર ઢોર માલિકો હુમલો કરે છે. તેમ ન કરવા તમે માલધારીઓને સમજાવો.

ઓથોરિટી દ્વારા કરાયેલા કાર્યથી હાઈકોર્ટ સંતુષ્ટ જણાતી હતી

જજ આશુતોષ શાસ્ત્રી અને હેમંત પ્રછકની બેન્ચ સમક્ષ આ કેસ ચાલી રહ્યો છે. જેમાં કોર્ટે ઓથોરિટીની ઝાટકણી કાઢ્યા બાદ AMC અને રાજ્ય સરકારે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી રિપોર્ટ ઉપર થયેલી કામગીરી અંગે એફિડેવિટ ફાઈલ કરી હતી. જેમાં ઓથોરિટી દ્વારા કરાયેલા કાર્યથી હાઈકોર્ટ સંતુષ્ટ જણાતી હતી. હાઈકોર્ટે ઓથોરિટીએ કરેલા કામની પ્રશંસા પણ કરી હતી. જોકે, આ કામગીરી દરમિયાન અમદાવાદમાં AMC કર્મચારીઓની સુરક્ષા અને તેમના ઉપર થતાં હુમલા સંદર્ભે શહેર પોલીસ કમિશનરનું સોગંદનામુ માગ્યું હતું. કોર્ટે અગાઉ જણાવ્યું હતું કે, સમાજમાં ખોટો સંદેશ જઈ રહ્યો છે કે જે ઓફિસર કાયદાનું પાલન કરાવા જાય છે તેને માર મારવામાં આવે છે, આનાથી ઓફિસરોનું મનોબળ તૂટે છે. જો ઓફિસરો ઉપર હુમલો થાય તો સામાન્ય નાગરિકોનું શું? કોર્ટને વીડિયોમાં જોવા મળ્યું કે, નિયમોનું પાલન કરાવવા ગયેલા ઓફિસરોને ઢોરની જેમ મારવામાં આવ્યા છે, ખોટું કરનારા સામે ઓથોરિટી કડક પગલાં લે, આવી બાબતો સાંખી લેવાય નહિ.

ટ્રાફિક સમસ્યા હળવી કરવાનું કાર્ય પણ ખંતથી કરાશે

આજે સુનાવણી શરૂ થતાં AMC કર્મચારીઓને કોર્ટના નિર્દેશોનું પાલન કરતી વખતે સુરક્ષા પૂરી પાડવા અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ફાઈલ કરાયેલી એફિડેવિટ રજૂ કરાઈ હતી. જેમાં જણાવાયું હતું કે, એડિશનલ પોલીસ કમિશનર ટ્રાફિક દ્વારા દરેક ઝોનમાં 1 PSI અને 11 પોલીસ કર્મચારી ફાળવાયા છે. ટ્રાફિક વિભાગ દ્વારા પોલીસ કમિશનર સાથે ચર્ચા કરાઈ અને જરૂરી નિર્દેશો બહાર પાડવામાં આવ્યા છે. AMC કર્મચારીઓ ઉપર હુમલો કરનારા અસમાજિક તત્વો સામે કડક હાથે કામ લેવાશે. તેમજ સતત મોનિટરિંગ કરાશે. ટ્રાફિક સમસ્યા હળવી કરવાનું કાર્ય પણ ખંતથી કરાશે.

હાઈકોર્ટે CPની ઝાટકણી કાઢી

અમદાવાદમાં થોડા દિવસ પહેલાં રિવરફ્રન્ટ પર યુવકે બંદૂકમાંથી ગોળી મારી આત્મહત્યા કરી હતી. આ કેસને લઈને પોલીસ કમિશનર જી.એસ. મલિકે ઘટનાસ્થળે જઈ જાત નિરીક્ષણ કર્યું હતું. આ વખતે તેઓએ મીડિયાને નિવેદન આપ્યું હતું કે, શહેરમાં બે કે પાંચ ટકા ગુના વધે અથવા તો ઘટે એમાં કોઈ ફરક પડવાનો નથી, પરંતુ મહત્ત્વની વાત એ છે કે ગુના નોંધાઈ રહ્યા છે અને એને ઉકેલવામાં પણ પોલીસ કામગીરી કરી રહી છે. જી.એસ. મલિકના આ નિવેદનની હાઈકોર્ટે નોંધ લીધી છે અને પોલીસ કમિશનરની ઝાટકણી કાઢી છે. કોર્ટે જણાવ્યું હતું કે, પોલીસ કમિશનરે આવું નિવેદન ન આપવું જોઈએ.

દરેક ન્યૂઝપેપરમાં તેમનાં નિવેદન છપાયાં છે

કોર્ટે જણાવ્યું હતું કે, આવાં નિવેદનો પોલીસ કમિશનરે ન આપવાં જોઈએ. તેઓ શહેર પોલીસના સૌથી ઉચ્ચ હોદ્દેદાર છે. દરેક ન્યૂઝપેપરમાં તેમનાં નિવેદન છપાયાં છે. તેમના માથે શહેરમાં કાયદો અને વ્યવસ્થાના પાલનની મોટી જવાબદારી છે. આવી નીચી કક્ષાનાં નિવેદનથી લોકોમાં નકારાત્મક મેસેજ જાય છે.

મીડિયા રિપોર્ટરો આપણા કરતાં પણ ઉપર હોય છે

કોર્ટે પોલીસ કમિશનરનાં નિવેદન અંગે ટકોર કરતા સુનાવણી પત્યા બાદ ફરી એડવોકેટ જનરલ અને સરકારી વકીલ કોર્ટ સમક્ષ ઉપસ્થિત થયા હતા, સાથે જ પોલીસ કર્મચારી પણ હતા. એડવોકેટ જનરલ દ્વારા કોર્ટને જણાવાયું હતું કે, પોલીસ કમિશનર કચેરીમાંથી તેમની ઓફિસમાં ફોન આવ્યો છે અને સ્પષ્ટતા કરાઇ છે કે, પોલીસ કમિશનરનું નિવેદન FIR નોંધણી સંદર્ભે હતું. જેમાં કેટલાક પોલીસ અધિકારીઓ FIR નોંધતા ન હોવાથી ક્રાઈમ રેટમાં વધ-ઘટ થાય છે. મીડિયા દ્વારા તેને અલગ રીતે લેવાયું છે, મીડિયા રિપોર્ટરો આપણા કરતાં પણ ઉપર હોય છે. (હળવા મૂડમાં) જોકે, કોર્ટે કહ્યું હતું કે, અધિકારી તો તમારા જ છે ને…

ટ્રાફિક સમસ્યા હળવી કરવાનું કાર્ય પણ ખંતથી કરાશે

જ્યારે રખડતાં ઢોર, રસ્તા અને ટ્રાફિકના કેસમાં AMC કર્મચારીઓને કોર્ટના નિર્દેશોનું પાલન કરતી વખતે સુરક્ષા પૂરી પાડવા અંગે પોલીસના સોગંદનામામાં જણાવ્યું છે કે, એડિશનલ પોલીસ કમિશનર ટ્રાફિક દ્વારા દરેક ઝોનમાં 1 પીએસઆઈ અને 11 પોલીસ કર્મચારી ફાળવાયા છે. પોલીસ કમિશનર સાથે ચર્ચા કરાઈ છે અને જરૂરી નિર્દેશો બહાર પાડવામાં આવ્યા છે. આવા અસામાજિક તત્ત્વો સામે કડક હાથે કામ લેવાશે. સતત મોનિટરિંગ કરાશે. ટ્રાફિક સમસ્યા હળવી કરવાનું કાર્ય પણ ખંતથી કરાશે.

Leave a comment

Trending