જી.કે.જન.અદાણી હોસ્પિ.ના મેડી.વિભાગના તબીબોની ડાયાબિટીસ નિયંત્રણ માટે આપ્યુ માર્ગદર્શન

ભારતમાં ડાયાબિટીસની સમસ્યા વધી રહી હોવાથી વહેલું નિદાન કરાવી લેવું જરૂરી છે કારણ કે જેમ નિદાન વેળાસર થશે તેમ સારવાર જલ્દી મળતાં આવા દર્દીઓ  અનેક શારીરિક અને માનસિક જટિલતાથી બચી શકશે એમ જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના મેડીસિન વિભાગના તબીબોએ જણાવ્યું હતું.

જી.કે. જનરલ હોસ્પિટલમાં મેડીસિન વિભાગ હેઠળ સારવાર લેવા આવતા દર્દીઓને ડાયાબિટીસ છે કે કેમ તે અંગે જાણકારી મેળવી અને આ રોગનું પરીક્ષણ ખાસ કરીને HBA1C ટેસ્ટ કરાવી લેવાનું પણ જણાવવામાં આવે છે. એટલું જ નહીં, ડાયાબિટીસના કારણે આંખ, કિડની, હૃદય ઉપર અસર છે કે નહીં તેની તપાસનો પણ આગ્રહ રાખી એ મુજબ સારવારની સિસ્ટમ અપનાવવામાં આવી છે, એમ હોસ્પિટલના મેડીસિન વિભાગના ડો. યેશા ચૌહાણે જણાવ્યું હતું.

વહેલા નિદાનના ફાયદા અંગે તેમણે જણાવ્યું હતું કે, સૌથી મોટો ફાયદો એ છે કે જો નિદાન થાય તો વહેલી સારવાર શરૂ થાય અને ભવિષ્યમાં સારવાર ઓછી લેવી પડે. નિદાનના પહેલા વર્ષમાં જેટલું સારું નિયંત્રણ આવે એટલો વધુ ફાયદો થાય. વળી વહેલું નિદાન અને વહેલી સારવાર સાથે વજન નિયંત્રણ રાખવા અને વજન ઉતારવા દર્દીને સલાહ આપવામાં આવે છે. જેથી માત્ર સુગર કંટ્રોલ જ નહીં ઘણીવાર તેની માત્રા પણ સામાન્ય થઈ જાય છે.

ટેસ્ટ અંગે તબીબોએ કહ્યું કે,HBA1C ટેસ્ટ ઉપરાંત લિપિડ પ્રોફાઈલ, લીવર માટે એસજીપીટી તપાસ, બી.પી., આંખ અને પગની તપાસ પણ જરૂરી બને છે. જો રિપોર્ટમાં સહેજ પણ તકલીફ જણાય તો રોગ વધે તે પહેલા  સારવાર  થઈ શકે.

ડાયાબિટીસ અને હૃદય રોગ વચ્ચે સીધો સંબંધ છે એમ જણાવી તબીબોએ કહ્યું કે, ડાયાબિટીસના દર્દીઓને બ્લડપ્રેશર વધુ રહેતું હોય કે કોલેસ્ટ્રોલ હોય અને સાથે તમાકુ કે ધુમ્રપાન અથવા તો શરાબનું વ્યસન હોય તેમ જ વારસામાં  હૃદય રોગ હોય તો  કાર્ડિયો ગ્રામ, ટુ ડી ઈકો કે ટ્રેડ મિલ ટેસ્ટ  કરાવી સમયસર સારવાર આપવાથી દર્દીને રાહત રહે છે. ઉપરાંત ઠંડા પીણા, સ્વીટ ઉપર નિયંત્રણ અને વ્યસન તેમજ ખાન પાનની જીવનશૈલી સુધરવા સલાહ આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં દર વર્ષે નવેમ્બર માસમાં રાષ્ટ્રીય ડાયાબિટીસ માસ ઉજવવામાં આવે છે. આ બીમારી હવે એવા સ્ટેજ ઉપર પહોંચી છે કે જેમાં બાળકો, વયસ્કો અને યુવાનોને પણ આ રોગ થાય છે. તેથી વહેલું નિદાન અને સારવાર માટે જાગૃતિ લાવવા લોકોને જાગૃત કરવા આ માસ ઉજવવામાં આવે છે.જી.કે.માં પણ સારવાર લેવા આવતા દર્દીઓને ડાયાબિટીસની તપાસ માટે ભાર મૂકવામાં આવે છે.તેમજ ૧૦થી ૧૫ ટકા વજન ઓછું કરવા અને યોગ, પ્રાણાયામ કરવા ભલામણ કરવામાં આવે છે.

Leave a comment

Trending