ગત વિધાનસભામાં વિસાવદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડિયાને હરાવી ભૂપત ભાયાણી AAPમાંથી ચૂંટાઇ આવી ધારાસભ્ય બન્યા હતા. જોકે, થોડા સમય પહેલા જ ભૂપત ભાયાણીએ AAPમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. હવે ભૂપત ભાયાણીએ જણાવ્યું છે કે, વિસાવદર બેઠક પર ભાજપમાંથી હું જ ચૂંટણી લડીશ. ચૂંટણી લડવાના કમિટમેન્ટ સાથે જ હું ભાજપમાં જોડાયો હતો. 3 ફેબ્રુઆરીએ જંગી સભાનું વિસાવદર ખાતે આયોજન કરાયું છે. મારી સાથે 2 હજાર કાર્યકરો પણ ભાજપમાં જોડાશે, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ સભામાં ઉપસ્થિત રહેશે.
ભાજપ-કોંગ્રેસને હરાવ્યા હતા
વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા હતા. ભાજપે અહીં કોંગ્રેસ છોડીને આવેલા હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી તો કોંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા. જોકે આપના ભૂપત ભાયાણી આ બંને ઉમેદવારોને હાર આપી જીત મેળવવામાં સફળ રહ્યા હતા. ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રીબડિયાને 6 હજાર 900 મતોથી હરાવ્યા હતા.
20 દિવસ પહેલા સુરતમાં થઈ હતી જોવા જેવી
20 દિવસ પહેલા સુરતમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા. આ દરમિયાન જ સામેથી ભૂપત ભાયાણી એકાએક ચાલતા દેખાયા હતા. ત્યારે જાહેરમાં વીડિયો બનાવી રહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ ભૂપત ભાયાણીને જોતાંની સાથે જ તેમને પ્રશ્ન પૂછવાના શરૂ કરી દીધા હતા. ધર્મેશ ભંડેરીએ ભૂપત ભાયાણીને કહ્યું હતું કે, તમને જોઈને કોઈએ વોટ આપ્યા નથી પરંતુ આમ આદમી પાર્ટીને વોટ આપીને તમને ધારાસભ્ય બનાવવામાં આવ્યા હતા. તમે મતદારોએ તમારામાં મૂકેલો ભરોસો કેમ તોડ્યો છે તેના જવાબ આપો. પરંતુ ભૂપત ભાયાણીએ એક પણ જવાબ આપ્યો ન હતો અને ફક્ત એટલું જ કહ્યું હતું કે, આ બાબતે મારે કંઈ કહેવું નથી. આમ આદમી પાર્ટી છોડવા પાછળ ઘણાં બધાં કારણો છે. છતાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તેમને ઘેરી લેતા સવાલોનો મારો ચલાવ્યો હતો અને આખરે ભૂપત ભાયાણી ત્યાંથી ભાગી ગયા હતા.
રાજીનામું આપ્યુ ત્યારે શું કહ્યું હતું?
એક મહિના પહેલા ભૂપત ભાયાણીએ AAPમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. એ વખતે તેઓએ જણાવ્યું હતું કે રાજીનામું આપવા પાછળ ઘણાં બધાં કારણો છે. હું રાષ્ટ્રવાદી માણસ છું અને રાષ્ટ્રના હિતમાં કામ કરવા મારા માટે આમ આદમી પાર્ટી યોગ્ય પ્લેટફોર્મ નહોતું, જેથી કરીને મેં મારી જનતા અને કાર્યકર્તાઓને પૂછી મેં નિર્ણય કર્યો છે. કઈ પાર્ટી રાષ્ટ્રવાદી છે અને કઈ પાર્ટી રાષ્ટ્રવાદી નથી એ દેશની જનતા જ જાણે છે. મારે જનતાનાં કામ કરવાં છે. મને યોગ્ય પ્લેટફોર્મ ન લાગતા મેં નિર્ણય લીધો છે. યોગ્ય સમયે યોગ્ય રાજકીય નિર્ણયો થતા હોય છે. ભાજપમાં જોડાશો તેવા મીડિયાના સવાલમાં જવાબમાં જણાવ્યું હતું કે હું ભાજપનો જ કાર્યકર્તા હતો.
અગાઉ પણ રાજીનામું આપવા માટે ડ્રામા સર્જાયો હતો
આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય ચૂંટાયા બાદના માત્ર એક માસમાં જ ભૂપત ભાયાણી રાજીનામું આપવા તૈયાર થયા હતા. જે-તે સમયે તેમની પર આક્ષેપ થયા હતા કે તેમણે રૂપિયા લઈને રાજીનામું આપવા તૈયારી કરી હતી. જોકે રાજીનામું આપવાની વાત લીક થઈ જતાં અંતે તેમણે ફેરવી તોળ્યું હતું અને રાજીનામું આપ્યું નહોતું.
ભૂપત ભાયાણી પહેલાં ભાજપમાં જ હતા
ભૂપત ભાયાણી આગાઉ ભારતીય જનતા પાર્ટીમાં જ હતા અને એક વખત જિલ્લા પંચાયત અને બે વખત તાલુકા પંચાયતમાં ભાજપમાંથી વિજેતા પણ બન્યા હતા. ઉપરાંત તેમને જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખની પણ જવાબદારી સોંપવામાં આવી હતી. ભૂપત ભાયાણી 2020માં જ ભાજપમાંથી AAPમાં જોડાયા હતા. સેવા અને સમર્પણની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
વિસાવદર પંથકમાં 108ની છાપ
ગરીબ દીકરીઓનાં સમૂહલગ્ન કરાવવાં, સમાજની વાડી માટેનાં કામો હોય, ગૌચરના વિકાસનાં કાર્યો હોય અથવા શ્રમિકોના કે ખેડૂતોના પ્રશ્નો હોય કોરોના સમયમાં ભેંસાણમાં સૌપ્રથમ કોવિડ સેન્ટર ખોલી સેવાકાર્ય કરી હજારો લોકોને મદદ કરી છે, તેમણે કરેલા કામને લોકોએ બિરદાવીને જિતાડ્યા હતા. ભાયાણી વિસાવદર પંથકમાં 108ની છાપ ધરાવે છે.
સરપંચપદેથી સસ્પેન્ડ થયા હતા
વિસાવદર વિધાનસભા વિસ્તારમાં આવેલા અને અંદાજે 12 હજારની વસતિ ધરાવતા ભેંસાણ ગામમાં ભૂપત ભાયાણી સરપંચ તરીકે કાર્યરત હતા. જે-તે સમયે તેઓ ભાજપ માટે કામગીરી કરતા હતા. એ સમયે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી પર હુમલો થવાની ઘટના બાદ ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ કારણસર ભાજપે ભૂપત ભાયાણીને સરપંચપદેથી સસ્પેન્ડ કર્યા હતા.
ભૂપત ભાયાણી ભાજપ માટે સોફ્ટ ટાર્ગેટ હતા?
વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભૂપત ભાયાણી સીધા જ ગાંધીનગર ખાતે પહોંચી ગયા હતા અને એ સમયે મીડિયા ઈન્ટરવ્યૂ દરમિયાન પ્રધાનમંત્રીના ગુણ ગાઈ રહ્યા હતા. બાદમાં રાજીનામું આપવાનું તેમણે નાટક ઊભું કર્યું હતું. એ સમયે જ આમ આદમી પાર્ટીને સમજી જવાની જરૂર હતી કે ભૂપત ભાયાણી ભાજપ માટે સોફ્ટ ટાર્ગેટ હોઈ શકે છે.






Leave a comment