આવતીકાલે વડાપ્રધાનના હસ્તે કચ્છમાં અંજાર સહિત 1400થી વધુ આવાસોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂર્હુત કરાશે

સમગ્ર કચ્છમાં અંજાર સહિત 6 સ્થળે આવતીકાલે 10 ફેબ્રુઆરીના રોજ સરકારની વિવિધ યોજનાઓ હેઠળ નવનિર્મિત આવાસોનો ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂર્હુત કાર્યક્રમ યોજાશે. આ બાબતે જિલ્લા ક્લેક્ટર અમિત અરોરાએ વીડિયો કોન્ફરન્સથી અધિકારીઓને આયોજન અંગે માર્ગદર્શન આપીને સમીક્ષા કરી.

આવતીકાલે 10 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા ખાતેથી ગુજરાતના 33 જિલ્લાના અંદાજે 1.31 લાખથી વધારે આવાસનો ઈ-લોકાર્પણ અને ખાતમૂર્હુત કાર્યક્રમ યોજાવાનો છે.

આ કાર્યક્રમના સમાંતરે કચ્છ જિલ્લામાં અંજાર સહિત 6 સ્થળે આવાસ યોજનાના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓને આવરી લેવામાં આવશે. અંદાજે 1400થી વધારે આવાસનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કચ્છ જિલ્લામાં પદાધિકારીઓના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં થશે.

જિલ્લામાં 1401 આવાસનું ઈ-લોકાર્પણ અને 44 જેટલા આવાસનું ઈ-ખાતમૂહુર્ત કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં કુલ 6 સ્થળે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભુજ અને ગાંધીધામમાં શહેરીકક્ષાએ કાર્યક્રમ યોજાશે.

અંજાર, અબડાસા, માંડવી અને રાપર ખાતે ગ્રામ્યકક્ષાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ 6 જગ્યાએ ડીસાથી આયોજિત થનારા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકાય તે રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે.

ભુજનો કાર્યક્રમ ભગવતી હોટેલ ગ્રાઉન્ડ ભુજ ખાતે, અબડાસાનો કાર્યક્રમ રામેશ્વર ગ્રાઉન્ડ નખત્રાણા ખાતે, માંડવીનો કાર્યક્રમ પાટીદાર સમાજવાડી બિદડા ખાતે, અંજારનો કાર્યક્રમ મારૂતિ ગ્રાઉન્ડ અંજાર ખાતે, ગાંધીધામનો કાર્યક્રમ ડૉ. આંબેડકર ભવન ગાંધીધામ ખાતે અને રાપરનો કાર્યક્રમ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ રાપર ખાતે યોજાશે.

આવાસ યોજનાના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કાર્યક્રમ તૈયારીની સમીક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટરે તમામ જગ્યાએ આયોજિત કાર્યક્રમના નોડલ અધિકારીઓ પાસેથી તૈયારીની વિગતો માગીને કાર્યક્રમ સુચારુરૂપે યોજાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ સ્થળે લાભાર્થીઓની ઉપસ્થિતિ, લાભાર્થીઓના પ્રતિભાવો, મહાનુભાવોને આમંત્રણ, કનેક્ટિવિટી, બેઠક વ્યવસ્થા, ભોજન, ટ્રાન્સપોર્ટેશન સહિતની બાબતો વિશે યોગ્ય કામગીરી કરવા માટે જિલ્લા કલેક્ટરે સૂચન કર્યું હતું.

Leave a comment

Trending