ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરની નિમણૂક લગભગ નિશ્ચિત થઈ ગઈ

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડનો T20 વર્લ્ડ કપ પછી કોન્ટ્રાક્ટ પૂરો થતા ટીમના મુખ્ય કોચ તરીકે પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરની નિમણૂક લગભગ નિશ્ચિત થઈ ગઈ છે. એવામાં બીસીસીઆઈ જૂનના અંતિમ સપ્તાહમાં ગંભીરની નિમણૂકની ઓફિશિયલ જાહેરાત કરે તેવી પૂરી સંભાવના છે. સૂત્રોનું માનીએ તો ગૌતમ ગંભીરે મુખ્ય કોચ બનવા માટે અમુક શરતો મૂકી હતી. જે બોર્ડે સ્વીકારી હતી અને ત્યારબાદ જ ગૌતમ ગંભીર સંમત થયા હતા.

42 વર્ષીય ગૌતમ ગંભીરની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સ 2014 પછી એટલે કે 10 વર્ષ બાદ IPL ટ્રોફી જીતવામાં સફળ રહી. જયારે હવે ગૌતમ ગંભીર ટીમ ઈન્ડીયાના મુખ્ય કોચ બનશે ત્યારે ટીમમાં મોટા ફેરફાર થશે એ વાત નિશ્ચિત છે. એવામાં ચાર ખેલાડીની છુટ્ટી થવાના અનુમાન લાગી રહ્યા છે.

2008માં ઇન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરનાર વિરાટે ભારત માટે ઘણી મેચ જીતી છે. ગૌતમ ગંભીરનું માનવું છે કે હવે વિરાટે માત્ર ટેસ્ટ અને વનડે ફોર્મેટ પર ધ્યાન આપવું જોઈએ. ટી-20માં નવા ખેલાડીઓને તક મળવી જરૂરી છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 2007માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. વિરાટની કેપ્ટનશીપ છોડ્યા બાદ તેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હાલમાં તે ત્રણેય ફોર્મેટમાં ભારતની કેપ્ટન્સી કરી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ટી-20 ફોર્મેટમાં હિટમેનનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. આવી સ્થિતિમાં  ગંભીરના આવ્યા બાદ રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં રમી શકશે નહીં.

2022 T20 વર્લ્ડ કપ, 2023 ODI વર્લ્ડ કપ, વર્તમાન T20 વર્લ્ડ કપ, દરેક મોટી ટુર્નામેન્ટમાં રવિન્દ્ર જાડેજાએ નિરાશ કર્યા છે.

આ લેફટી સ્પિન ઓલરાઉન્ડર માત્ર ટેસ્ટ એ પણ સ્વદેશી પીચ પર  રમવા માટે ફિટ છે. આવી સ્થિતિમાં ગૌતમ ગંભીરના કાર્યકાળ દરમિયાન ફ્લોપ રહેલ જાડેજાની કારકિર્દીનો અંત આવી શકે છે.

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે ગૌતમ ગંભીર પાસે સ્પષ્ટ પ્લાન છે. ગંભીર ઈચ્છે છે શમી ટેસ્ટ માટે રમે. ઉપરાંત, 2027 ODI વર્લ્ડ કપમાં પણ શમી રમે તેવો પ્લાન છે. આવી સ્થિતિમાં, વર્કલોડ મેનેજમેન્ટને કારણે મોહમ્મદ શમીને T20 ટીમમાંથી બહાર થતો જોઈ શકાય છે.

Leave a comment

Trending