બુધવારે (26 જૂન) જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ગંડોહ વિસ્તારમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. સવારે આ વિસ્તારમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ અને સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ હતું, ત્યાર બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે, ડોડામાં 11 અને 12 જૂને બેવડો આતંકી હુમલો થયો હતો. ત્યારથી સેના CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસ સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આજે સવારે સિનુ પંચાયત ગામમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. દરમિયાન આતંકવાદીઓએ ઢોક (માટીથી બનેલું ઘર)થી ટીમ પર ગોળીબાર કર્યો.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, એન્કાઉન્ટર સવારે 9.50 વાગ્યે શરૂ થયું હતું. એક આતંકી ઘરની બહાર આવ્યો અને હુમલો કર્યો. સુરક્ષા દળોના ગોળીબારમાં એક આતંકી માર્યો ગયો હતો. હાલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ડ્રોન અને હેલિકોપ્ટર દ્વારા સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે.
અધિકારીઓએ એ પણ જણાવ્યું કે, મંગળવારે સાંજે રાજૌરી જિલ્લાના ચિંગુસ વિસ્તારના પિંડ ગામમાંથી એક ચાઈનીઝ ગ્રેનેડ મળી આવ્યો હતો.
હકીકતમાં, 11 જૂનના રોજ આતંકવાદીઓએ છત્તરગલ્લામાં આર્મી-પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો, જેમાં 6 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. આ પછી બીજા દિવસે 12 જૂને ગંડોહના કોટા ટોપમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.
ત્યારથી આ વિસ્તારમાં ઘૂસણખોરી કરનારા ચાર આતંકીઓને શોધવા સર્ચ ઓપરેશન ચાલુ છે. દરેકને 5 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરામાં 17 જૂનની સવારે સુરક્ષા દળો દ્વારા આતંકવાદી એલઇટી કમાન્ડર ઓમર અકબર લોન ઉર્ફે જાફરને મારી નાખવામાં આવ્યો હતો. તે પટ્ટનનો રહેવાસી હતો. 16 જૂને અરગામના જંગલોમાં ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. આ પછી સેના અને પોલીસે શોધખોળ હાથ ધરી હતી. બીજા દિવસે સવારે જ્યારે શોધખોળ તેજ કરવામાં આવી ત્યારે આતંકીઓએ ગોળીબાર કર્યો. ડ્રોન ફૂટેજમાં માર્યા ગયેલા આતંકવાદી જાફરનો મૃતદેહ જંગલમાં પડેલો જોવા મળ્યો હતો.






Leave a comment