રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ કારોબારી સમિતિની બેઠક આજરોજ મળી હતી, જેમાં કુલ 29 કામોની રૂ. 51.85 કરોડના ટેન્ડર તથા વહીવટી વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત કચેરી ખાતે કારોબારી ચેરમેન પી. જી. ક્યાડાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં બાંધકામના કુલ 5 મોટા કામો માટે રૂ. 39,05,10,504નાં ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું હતું તો સિંચાઈના 11 કામો માટે કુલ રૂ. 7,68,96,851નાં ટેન્ડરને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત અન્ય 5 કામોની વહીવટી મંજૂરી માટે રૂ. 5,05,88,000 ફાળવી દેવામાં આવ્યા હતા.
કારોબારી ચેરમેન પી.જી. ક્યાડાનાં જણાવ્યા મુજબ આજે મળેલી બેઠકમાં અંદાજીત રૂ. 52 કરોડના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં જસદણ તેમજ તેની આસપાસના ડેમોનું 20 વર્ષથી રીનોવેશન થયું નહીં હોવાથી તેને પ્રાથમિકતા આપી છે. મંત્રી બાવાળીયાની મંજૂરી મળી ગઈ હોવાથી તાત્કાલિક આ કામો કરવામાં આવનાર છે. આગામી એક વર્ષમાં રાજકોટ જિલ્લાના તમામ જૂના ડેમોનું જરૂરી સમારકામ કરવાની ખાતરી પણ તેમણે આપી હતી.
વધુમાં તેમણે જણાવ્યું કે, જસદણ તાલુકાના ભાડલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ કવાર્ટર અને રાજકોટ તાલુકાના સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલ સ્ટાફ કવાર્ટર ડિસ્મેન્ટલ કરવા અંગેની મંજૂરી આપવામાં આવી છે. બાંધકામના 5 કામોના રૂ. 39,05,10,504નાં ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે સિંચાઈના કુલ 11 કામોના ટેન્ડર કુલ રૂા. 7,68,96,851, અને અન્ય 5 કામોની વહીવટી મંજૂરી માટે રૂ. 5,05,88,000 રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આમ સિંચાઈ સહિતના વિવિધ કામોના ટેન્ડર તેમજ વહીવટી મંજૂરી આપવામાં આવી છે. એકંદર કુલ મળી રૂ. 51,84,88,420નાં 29 કામોને મંજૂર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત કારોબારીમાં પંચાયત શાખા માટે 2 નવા કોમ્પ્યુટર તેમજ 1 સ્કેનર ક્રમ પ્રિન્ટર ખરીદવા રૂ. 3 લાખના ખર્ચ તેમજ પંચાયત વિકાસ સુચકઆંક અંગે યોજાયેલા રિજિઓનલ વર્કશોપમાં જમવાના બીલનાં કુલ રૂા. 43,065 મળીને કુલ રૂા. 3,43,065નાં ખર્ચની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે મહેસુલ શાખા માટે 1 નવુ કોમ્પ્યુટર તેમજ 1 નવું પ્રિન્ટર ખરીદવા માટે રૂ. 1.50 લાખ સુધીના ખર્ચ તેમજ વિંછીયા તાલુકાના ભોંયરા ગામના અરજદાર ખીમાભાઈ લાખાભાઈ બાવળીયાએ જાહેર હરાજીથી લીધેલ પ્લોટની રકમ ભરવા મુક્ત કોન્ડોન કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજની બેઠકમાં જમીન દબાણ શાખા માટે નવા કોમ્પ્યુટર સેટ તથા નવા પ્રિન્ટરની ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ રાજકોટ જિલ્લામાં બિનઆદિવાસી વિસ્તારમાં 7 નવા પશુ દવાખાના સ્થાપવા બાબત તેમજ 3 પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોના સ્થળાંતરની મંજૂરી પણ આપવામાં આવી હતી તેમજ ટૂંક સમયમાં જૂની કોર્ટ ખાતે જિલ્લા પંચાયત કચેરીનું સ્થળાંતર કરી જિલ્લા પંચાયતનાં આ બિલ્ડીંગનું નવીનીકરણ કરવામાં આવનાર છે.






Leave a comment