રાજકોટમાં બુધવારે ખાણીપીણી બંધ

25મી મે 2024ના રોજ રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ થયો હતો. ત્યારબાદ રાજ્ય સરકારની સૂચનાથી દરેક જગ્યા પર હોટલ, રેસ્ટોરાં, બેંકવેટ હોલ અને પાર્ટીપ્લોટ સામે કાર્યવાહી કરાઈ હતી. આ એકમોને નોટિસ આપ્યા વગર સીલિંગની કરવામાં આવતી કામગીરી સામે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેની સામે વિરોધના ભાગ રૂપે આગામી 10 જુલાઈ 2024ને બુધવારના રોજ રાજકોટમાં તમામ હોસ્પિટાલિટી સાથે સંકળાયેલા હોટલ, રેસ્ટોરાં, બેંકવેટ હોલ અને પાર્ટીપ્લોટના સંચાલકો દ્વારા બંધ પાડી વિરોધ નોંધાવવામાં આવશે.

રાજકોટના રેસ્ટોરાં સંચાલક મેહુલ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા ટીમ દ્વારા હોટલ, રેસ્ટોરાં, બેંકવેટ હોલ અને પાર્ટીપ્લોટ ઉપર ધોંસ બોલાવી કોઈ પણ નોટિસ વગર એકમોને સીધા સીલ કરી દેવામાં આવી રહ્યા છે, જેના કારણે મોટું નુકસાન થઇ રહ્યું છે. નિયમ મુજબ નોટિસ પાઠવી ફાયર મામલે ખૂટતી સુવિધા પર્યાપ્ત કરવા તમામ લોકો બંધાયેલા છીએ, પરંતુ સમય આપ્યા વગર સીધા એકમો સીલ કરી દેવામાં આવતા અમારે ન છૂટકે વિરોધમાં ઉતરવું પડી રહ્યું છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં હોટલ, રેસ્ટોરાં, બેંકવેટ હોલ અને પાર્ટીપ્લોટ સહિત નાના મોટા 1000 જેટલા એકમો આવેલા છે, જે બધા લોકો સાથે મળી નિર્ણય કરવામાં આવ્યો છે કે, આગામી તારીખ 10 જુલાઈ 2024ના રોજ સવારના 6 વાગ્યાથી બીજા દિવસ સવારના 6 વાગ્યા સુધી બધા જ લોકો ધંધારોજગાર બંધ પાડી વિરોધમાં જોડાશે.

અમારી માગ એક જ છે કે, રાજકોટ મનપા ટીમ દ્વારા અમને યોગ્ય સમય આપવામાં આવે અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે. ઘણા બધા એકમોમાં ફાયર માટેના સાધનો ઉપલબ્ધ છે, પરંતુ ખૂટતા સાધનો પરિપૂર્ણ કરવા અમે બંધાયેલા છીએ. પરંતુ આ માટે અમને સમય આપવામાં આવે. કારણ કે એકમોને સીધા સીલ કરવાથી અમને આર્થિક પણ નુકસાન થઇ શકે તેમ છે અને ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા પણ સીલ ખોલવું જરૂરી બની છે જે માટે કનડગતતા થઇ રહી છે.

Leave a comment

Trending