લિકર કૌભાંડમાં ફસાયેલા મુખ્યમંત્રી કેજરીવાલને મોટી રાહત

લિકર પોલીસી કેસમાં જેલમાં કેદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યાં છે. સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને વચગાળાના જામીન આપી દીધા છે.

આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી મોટી બેન્ચ આ મામલે સુનાવણી કરશે ત્યાં સુધી તેમના જામીન ચાલુ રહેશે. જો કે કેજરીવાલને જામીન મળી ગયા હોવા છતાં તેઓ હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં. કેમકે દિલ્હી સીએમને ED કેસમાં જામીન મળી ગયા છે. પરંતુ હાલમાં તે CBI કસ્ટડીમાં છે એટલે કેજરીવાલ હાલ જેલમાં જ રહેશે. કેજરીવાલને વચગાળાના જામીન આપતાં કોર્ટે કહ્યું કે ‘ધરપકડ માત્ર પૂછપરછથી થઈ શકે નહીં.’ તો કેજરીવાલના વકીલ વિવેક જૈને કહ્યું કે ‘દિલ્હી હાઈકોર્ટમાં સીબીઆઈ કેસની સુનાવણી 18 જુલાઈએ થવાની છે. આ મામલે નિર્ણય આવ્યા બાદ જ ખબર પડશે કે કેજરીવાલ બહાર આવશે કે નહીં? જો કે કેજરીવાલ જેલમાંથી બહાર આવે તેવી શક્યતાઓ પ્રબળ છે.

કેજરીવાલને વચગાળાના જામીન આપતા કોર્ટે કહ્યું કે ‘દિલ્હીના મુખ્યમંત્રી 90 દિવસ કરતા વધુ સમયથી જેલમાં છે. અને તેઓ ચૂંટાયેલા નેતા છે. હવે તેઓ આ પદ પર રહેશે કે નહીં તેનો ફેંસલો કેજરીવાલ જ કરશે. અમે નિર્ણયમાં ચૂંટણી ફંડને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે.’ ઉલ્લેખનીય છેકે મની લોન્ડરિંગ એક્ટની કલમ 19 EDને અધિકાર આપે છે કે જો પુરાવાના આધારે એજન્સીને લાગે છે કે કોઈ વ્યક્તિ મની લોન્ડરિંગ માટે દોષિત છે, તો તે તેની ધરપકડ કરી શકે છે. આવી ધરપકડ માટે એજન્સીએ માત્ર આરોપીઓને કારણો આપવાના હોય છે.

સુપ્રીમકોર્ટે કેજરીવાલના કેસ પર સુનાવણી હાથ ધરતાં કહ્યું હતું કે હવે આ મામલે   3 જજોની બેન્ચ બનાવવામાં આવશે જે કેજરીવાલના કેસ પર સુનાવણી કરશે. આ સાથે એ પણ જણાવાયું કે સુપ્રીમકોર્ટના આ ત્રણ જજોના નામ ખુદ સીજેઆઈ કરશે.

Leave a comment

Trending