આગામી 15 ઓગસ્ટનાં સ્વાતંત્ર્ય પર્વને લઈને ઠેર-ઠેર ઉજવણી માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટમાં આગામી તારીખ 13થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે કલેક્ટર કચેરીએ હર ઘર તિરંગા યાત્રા સારી રીતે યોજાય તેના આયોજન માટેની એક મહત્વની બેઠક જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં લોકોમાં દેશદાઝની ભાવના વિકસે તેવું આયોજન કરવાની અપીલ કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ બેઠકમાં જણાવ્યું હતું કે, તિરંગા યાત્રામાં શાળાના બાળકોમાં દેશભક્તિ પ્રદર્શિત કરતી વેશભૂષા ધારણ કરે, માનવ સાંકળની રચના કરે, ચિત્ર-નિબંધ-રંગોળી સ્પર્ધાઓ યોજાય તેમજ ઢોલ અને છત્રી સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. તેમજ ફ્લેગ કોડની જોગવાઈનું ચુસ્તપણે પાલન થાય, નાગરિકો ભાતીગળ પહેરવેશમાં ઉપસ્થિત રહે તેમજ રાજકોટ જિલ્લાના અને શહેરના વધુમા વધુ નાગરિકો આ યાત્રામાં સામેલ થાય તેવી વ્યવસ્થા કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધીએ ગ્રામ્ય વિસ્તારો, સરકારી કચેરીઓ, મહાનગરપાલિકા અને નગરપાલિકા, સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક મંડળીઓ, ઔદ્યોગિક એકમો, એપીએમસી, ઘર, દુકાન તથા અન્ય વિસ્તારોમાં વધુમાં વધુ સ્થળોએ ત્રિરંગો લહેરાવી શકાય તે અંગેની વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી. રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાય તથા પૂરા સન્માન સાથે ત્રિરંગો વધુમાં વધુ જગ્યાઓએ લહેરાય તેવું આયોજન કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, એસપી જયપાલસિંહ રાઠોડ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.






Leave a comment