વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 3જી ઓગસ્ટના રોજ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એગ્રીકલ્ચરલ ઇકોનોમિસ્ટ (ICAE)ની 32મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે ભારત જેટલું પ્રાચીન છે, કૃષિ અને ખાદ્યપદાર્થને લઈને આપણી માન્યતાઓ અને અનુભવો પણ એટલા જ પ્રાચીન છે. આ કોન્ફરન્સનું આયોજન નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચરલ સાયન્સ સેન્ટર (NASC) કેમ્પસમાં કરવામાં આવ્યું છે.
વિશ્વભરમાં કૃષિ અને તેની સંબંધિત સમસ્યાઓના ઉકેલ શોધવા માટે દર ત્રણ વર્ષે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. ભારતમાં તેનું આયોજન 65 વર્ષ બાદ કરવામાં આવી રહ્યું છે. 2જીથી 7મી ઓગસ્ટ દરમિયાન અહીં કોન્ફરન્સ ચાલશે.
ભારતીય કૃષિ પરંપરામાં વિજ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવ્યું: ભારત જેટલું પ્રાચીન છે, કૃષિ અને ખોરાકને લગતી આપણી માન્યતાઓ અને અનુભવો પણ એટલા જ પ્રાચીન છે.હજારો વર્ષો પહેલા આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તમામ ચીજોમાં અન્ન શ્રેષ્ઠ છે, તેથી જ ભોજનને તમામ ઔષધિઓનું મૂળ કહેવામાં આવ્યું છે.
જમીનને ડિજિટલ ઓળખ નંબર આપવામાં આવશેઃ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, એક ક્લિકથી 10 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. સરકાર જમીનોના ડિજિટલાઇઝેશન માટે પણ અભિયાન ચલાવી રહી છે. ખેડૂતોને તેમની જમીન માટે ડિજિટલ ઓળખ નંબર પણ આપવામાં આવશે.
ભારતમાં 700થી વધુ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો: ભારતમાં મજબૂત કૃષિ શિક્ષણ અને સંશોધન ઇકોસિસ્ટમ છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ પોતે 100થી વધુ સંશોધન સંસ્થાઓ ધરાવે છે. ભારતમાં કૃષિ અને સંબંધિત વિષયોના અભ્યાસ માટે 500 થી વધુ કોલેજો છે. ભારતમાં 700થી વધુ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે જે ખેડૂતોને નવી તકનીકો પહોંચાડવામાં મદદ કરે છે.
નાના ખેડૂતો એ ભારતની ખાદ્ય સુરક્ષાની સૌથી મોટી તાકાત: કૃષિ એ આપણી આર્થિક નીતિનું કેન્દ્ર છે. અમારી પાસે લગભગ 90% પરિવારો છે જેમની પાસે ખૂબ ઓછી જમીન છે, આ નાના ખેડૂતો ભારતની ખાદ્ય સુરક્ષાની સૌથી મોટી તાકાત છે. એશિયાના ઘણા વિકાસશીલ દેશોમાં આ સ્થિતિ છે, તેથી ભારતનું મોડેલ ઘણા દેશોમાં ઉપયોગી થઈ શકે છે.
ભારત દૂધ, કઠોળ અને મસાલાનો સૌથી મોટો ઉત્પાદક: છેલ્લી વખત જ્યારે ICAE કોન્ફરન્સ અહીં યોજાઈ હતી, ત્યારે ભારતને નવી સ્વતંત્રતા મળી હતી. તે ભારતની ખાદ્ય સુરક્ષા અને ભારતની કૃષિ સંબંધિત પડકારોથી ભરેલો સમય હતો. આજે ભારત ફૂડ સરપ્લસ દેશ છે. આજે ભારત દૂધ, કઠોળ અને મસાલાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે.
ભારતે ખેડૂત નેતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવી: વિશ્વમાં ક્યાંય કોઈ ખેડૂતની પ્રતિમા છે કે કેમ તે મને ખબર નથી, પરંતુ ભારતમાં આઝાદીની ચળવળમાં જે મહાપુરુષ ખેડૂતોની શક્તિને જાગૃત કરી, ખેડૂતોને પોતાની સાથે જોડ્યા. સ્વતંત્રતા ચળવળના તે ખેડૂત નેતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ભારતમાં છે.
ભારતનો કૃષિ વિકાસ દર વિશ્વમાં સૌથી વધુ છે
આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ભાગ લીધો હતો. તેમના સંબોધનમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતનો કૃષિ વિકાસ દર વિશ્વમાં સૌથી વધુ છે. ઉત્પાદન વધારવાની સાથે-સાથે ભારત એ પણ ચિંતિત છે કે ઉત્પાદન માનવ શરીર માટે સલામત હોવું જોઈએ અને જમીનના સ્વાસ્થ્ય માટે પણ સુરક્ષિત ઉત્પાદન હોય, ભારત હવે પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકે છે.
આ વર્ષની કોન્ફરન્સની થીમ ‘ટ્રાન્સફોર્મેશન ટુવર્ડ્સ સસ્ટેનેબલ એગ્રી-ફૂડ સિસ્ટમ્સ’ છે. આ પરિષદનો ઉદ્દેશ્ય જળવાયુ પરિવર્તન, કુદરતી સંસાધનોના અધોગતિ, ઉત્પાદન ખર્ચમાં વધારો અને વૈશ્વિક સંઘર્ષ જેવી સમસ્યાઓનો સામનો કરવાનો છે.
આ કોન્ફરન્સમાં, સમગ્ર વિશ્વમાં કૃષિ સંબંધિત પડકારો પ્રત્યે ભારતના સક્રિય અભિગમને ઉજાગર કરવા સાથે, દેશના કૃષિ સંશોધન અને પોલિસીમાં ગ્રોથ દર્શાવવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈના રોજ સંસદમાં કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કર્યું હતું. સરકારે કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડ રૂપિયા આપ્યા. ગયા વર્ષે 1.25 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. એટલે કે આ વખતે ખેડૂતોના બજેટમાં 21.6% એટલે કે 27 હજાર કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
જો કે, ખેડૂતોની સતત માંગ હોવા છતાં, બજેટમાં લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કિસાન સન્માન નિધિની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો નથી, તે માત્ર 6,000 રૂપિયા જ રહેશે.






Leave a comment