દેશના દર 100 માંથી 67 વિદ્યાર્થીઓ સ્નાતક થયા બાદ પોતાનો બિઝનેસ કરવા આતુર

દેશમાં સ્ટાર્ટઅપ કલ્ચર હવે ગતિ પકડી રહ્યું છે. દેશના યુવાવર્ગને નોકરી કરતાં પોતાના જ બિઝનેસમાં વધુ સારું ભવિષ્ય નજરે પડી રહ્યું છે. એક સરવે રિપોર્ટ અનુસાર દેશના 67% વિદ્યાર્થીઓ સ્નાતક થવાના 10 વર્ષની અંદર પોતાનો વ્યવસાય શરૂ કરવા આતુર છે.

ઇકોનૉમિક સરવે 2023-24 અનુસાર વર્ષ 2014થી અત્યાર સુધી 10 વર્ષના સમયગાળા દરમિયાન દેશમાં ટેક સ્ટાર્ટઅપ્સમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળતા તે 15 ગણાથી વધુ વધ્યા છે. યુવાઓને તેમાં જ ભવિષ્ય જોવા મળી રહ્યું છે. એઆઇ આધારિત રિક્રૂટમેન્ટ ઑટોમેશન ફર્મ હાયર પ્રોના એક અભ્યાસ અનુસાર કોલેજના 15% વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ થયા બાદ તરત જ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે. જ્યારે 23% વિદ્યાર્થીઓ 2-3 વર્ષ બાદ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે યોજના બનાવી રહ્યા છે.

29% વિદ્યાર્થીઓ એવા છે જે સ્નાતક થયા બાદ 5-10 વર્ષ બાદ પોતાનો વ્યવસાય શરૂ કરવાનું આયોજન ધરાવે છે. આ રિપોર્ટ 20 હજારથી વધુ ઉમેદવાર, 350થી વધુ કોલેજ અને 200 કોર્પોરેટની સાથે 100થી વધુ કેમ્પસમાં જઇને ટેલેન્ટની પસંદગી કરનારી કંપનીઓના ઇન્ટરવ્યૂ પર આધારિત છે.

  • રિપોર્ટ અનુસાર યુવાઓના પોતાના બિઝનેસને શરૂ કરવાના સપનાને પણ કોલેજ જ પાંખ આપી રહી છે. કેમ્પસમાં તેમને આંત્રપ્રેન્યોરશિપ એટલે કે ઉદ્યોગસાહસિકતાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે.
  • 36%થીવધુ કોલેજ અને સંસ્થાઓ આંત્રપ્રેન્યોરશિપથી જોડાયેલા કોર્સ ઑફર કરે છે. તેના કેમ્પસમાં સ્ટાર્ટઅપ સેમેસ્ટરનો પણ વિકલ્પ આપવામાં આવે છે. તેમાં વિદ્યાર્થીઓની રૂચી વધી રહી છે.
  • 29% કોલેજોએ ઇનોવેશન, આંત્રપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ સેલ અથવા સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન માટે સુવિધા કેન્દ્ર પણ સ્થાપિત કર્યા છે. તેનાથી કેમ્પસમાં જ આંત્રપ્રેન્યોરશિપનો માહોલ બની રહ્યો છે.
  • આંત્રપ્રેન્યોરશિપના પ્રેક્ટિકલ માટે 28% કોલેજ સ્પર્ધા, પિચ ઇવેન્ટ્સ અને હેકાથૉન આયોજિત કરે છે.

રિપોર્ટ અનુસાર ભારતમાં અંદાજે 87% કોલેજો ઉદ્યોગસાહિસકતાને પ્રોત્સાહન આપવા માટે કેમ્પસમાં જ પ્રોગ્રામ શરૂ કર્યા છે. જ્યારે અત્યારે પણ 63% કોલેજ ઇચ્છે છે કે વિદ્યાર્થીઓ સ્નાતક થયા બાદ પોતાનો બિઝનેસ શરૂ કરવાને બદલે કોર્પોરેટ જોબ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે.

Leave a comment

Trending