જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં ૧૭મી સપ્ટે થી ૨૩ મી સપ્ટે દરમિયાન “વિશ્વ દર્દી સલામતી” સપ્તાહ નિમિતે દર્દીઓની સેફ્ટી મુદ્દે લેવાયેલા સર્વશ્રેષ્ઠ યોગદાન બદલ સપ્તાહના પૂર્ણાહુતિ કાર્યક્રમ પ્રસંગે વિવિધ વિભાગોને એવોર્ડ આપી સરહાના કરવામાં આવી હતી. હોસ્પીટલના ઇમર્જન્સી વિભાગે શ્રેષ્ઠ કામગીરી કરી મેદાન માર્યું હતું.
આ ઉપરાંત રેડિયોલોજી અને પેથોલોજી લેબ,સિક્યુરિટી,નર્સિંગ,હાઉસ કીપિંગ,જનરલ ડયુટી આસિ. સોડેક્ષો શાખાને પણ વણી લેવામાં આવ્યા હતા.હતા.આ પ્રસંગે પેથોલોજીલેબ અને રેડિયોલોજી વિભાગે દર્દીની સારવાર માટે લેવાતી સલામતી અંગે નિદર્શન આપ્યું હતું.
હોસ્પિટલના કોન્ફરન્સ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તબીબોની કામગીરીને બિરદાવતા ગેઇમ્સ ના મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈએ જણાવ્યું હતું કે, દર્દીની સલામતી હોસ્પિટલ માટે સર્વોચ્ય પ્રાથમિકતા હોવી જોઈએ, નિદાન અને સારવાર સાથે દર્દીને દરેક દિશાએથી સલામતી મળવી જોઈએ એમ કહી તેમણે નાની નાની બાબતોની સંભાળ રાખવાથી જ દર્દીને સલામતી આપી શકાય એમ ઉમેર્યું હતું.
આ પ્રસંગે ચીફ મેડિકલ સુપ્રિ. ડો.નરેન્દ્ર હિરાણી, એડિશનલ મેડિ.સુપ્રિ.ડો.વિવેક પટેલ વિગેરેના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલના ગુણવતા (ક્વોલિટી) વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ડો.હિનાબેન આચાર્ય અને ડો. પ્રેજી ગોહિલે આ મહત્વના કાર્યક્રમનો હિસ્સો બનવા બદલ દરેકનો આભાર માન્યો હતો. આ પ્રસંગે જુદા જુદા વિભાગોના વડા સહિત રેસિ.તબીબો, નર્સિંગ, એડમિન વિગેરે સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.






Leave a comment