સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડી રજિસ્ટ્રેશન ફીમાં 300 ટકાનો વધારો કરી નાખવામાં આવ્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી કરવું હવે ખૂબ મોંઘુ બની રહેશે. કારણ કે, આ યુનિવર્સિટી દ્વારા પીએચડી રજિસ્ટ્રેશન ફીમાં 300 ટકાનો વધારો કરી નાખવામાં આવ્યો છે. એટલે કે, ગત વર્ષે જે ફી રૂ.500 હતી તે આ વર્ષે રૂ.1500 થઈ ગઈ છે. B ગ્રેડ ધરાવતી આ યુનિવર્સિટીમાં પીએચડી કરવું મોંઘુ બનતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા અને વિદ્યાર્થી નેતાએ વિરોધનું એલાન કર્યું છે. જો ત્રણ દિવસમાં ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે તો કુલપતિનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ફીમાં થયેલા વધારાનું કારણ આપતા પીએચડી પ્રવેશ પરીક્ષાના કો-ઓર્ડિનેટર દ્વારા આશ્ચર્યજનક જવાબ આપવામાં આવ્યો કે, ખર્ચ સામે થતી આવક ખૂબ જ ઓછી હોવાથી ફી વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, હકિકત એ છે કે, આ વર્ષે 29માંથી 26 વિષયની તો પીએચડી પ્રવેશ પરીક્ષા જ લેવાની નથી તો ખર્ચ શેનો?

સૌરાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડીની રજિસ્ટ્રેશન ફીમાં સીધો 300 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અસહ્ય છે. સુપર સ્માર્ટ રજિસ્ટ્રાર ડો. રમેશ પરમારના ઇશારે કુલપતિ ડો. કમલ ડોડિયા કઠપૂતળી બની ગયા છે અને આથી જ તેઓને વિદ્યાર્થીઓની સમસ્યા દેખાતી નથી. જો આગામી ત્રણ દિવસમાં આ ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે તો અમે કુલપતિનો ઘેરાવ કરી ઉગ્ર આંદોલન કરીશું.

રાજ્ય સરકાર દ્વારા પીએચડીમાં એડમિશન માટે જીકાસ મારફત ઓનલાઈન ફોર્મ ભરવાનું ગત 1 ઓક્ટોબરથી શરૂ થયું હતું. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મોડે મોડેથી 5 ઓક્ટોબરના પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે, જે વિદ્યાર્થીઓએ NET એટલે કે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ પરીક્ષા પાસ કરી હશે તેવા વિદ્યાર્થીઓને જ પીએચડીમાં એડમિશન મળશે. જેનાથી ભૂતકાળમાં પીએચડીની પ્રવેશ પરીક્ષા પાસ કરી છે તેવા હજારો વિદ્યાર્થીઓએ પાસ કરેલી પરીક્ષા રદ ગણાશે અને આ રીતે વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ ઉપર મૂકી અને ગાઈડ્સની મનમાનીને આધીન બની યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડિયા અને કાર્યકારી કુલસચિવ ડો. રમેશ પરમારે નિર્ણય કર્યો હતો. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 29 વિષયમાં પીએચડી કરવા માટે 224 બેઠક સામે 10 ગણા વધુ એટલે કે 2212 વિદ્યાર્થીઓએ દાવેદારી નોંધાવી હતી.

નેશનલ એલિજિબિલિટી ટેસ્ટનું પરિણામ જાહેર થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 26 વિષયમાં પ્રવેશ માટે GCAS મારફત ફોર્મ ભરતા 2212 વિદ્યાર્થીઓ પાસેથી નેટની પરીક્ષામાં પાસ થયાનું સર્ટિફિકેટ ઓનલાઈન અપલોડ કરવાનું કહેવામાં આવ્યું છે. અત્યારસુધીમાં 190થી વધુ NET પાસ વિદ્યાર્થીઓએ પીએચડી કરવા માટે રજિસ્ટ્રેશન ફી ભરી ફોર્મ ભર્યું છે. જો કે, રજિસ્ટ્રેશન ફી રૂ.500થી વધારી રૂ.1500 કરી નાખવામાં આવી છે. ફીમા એકસાથે 300 ટકાનો વધારો થતા વિદ્યાર્થીઓમાં આંતરિક રોષ ફાટી નીકળ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી પ્રવેશ પરીક્ષાના કો-ઓર્ડિનેટર ડો. શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ગત વર્ષે પીએચડીમાં પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી અને તેનો ખર્ચ અંદાજે રૂ. 24 લાખ જેટલો થયો હતો અને તેની સામે વિદ્યાર્થીઓની ફી થકી આવક માત્ર રૂ. 70,000 થઈ હતી. જેથી વધુ પડતા ખર્ચને પહોંચી વળવા માટે પીએચડીની રજિસ્ટ્રેશન ફીમાં વધારો કરવામાં આવ્યો છે. આ વખતે તો 29માંથી માત્ર ત્રણ જ વિષયમાં પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવાની છે. 26 વિષયમાં તો વિદ્યાર્થીઓએ માત્ર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ડિપાર્ટમેન્ટલ રિસર્ચ કમિટી સમક્ષ પોતાની રિસર્ચ પ્રપોઝલ રજૂ કરવાની છે. પ્રવેશ પરીક્ષાનો ખર્ચ પણ થવાનો નથી તેમ છતાં ફીમાં વધારો થતા વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. પીએચડીની રજિસ્ટ્રેશન ફી આટલી બધી ગુજરાત રાજ્યની એક પણ સરકારી યુનિવર્સિટીમાં નથી. એટલે કહી શકાય કે, ગુજરાતની આ એકમાત્ર યુનિવર્સિટીમાં પીએચડી કરવું વિદ્યાર્થીઓ માટે મોંઘુ બની રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 29 વિષયમાં 224 જગ્યા ઉપર પીએચડી કરવા માટે 2226 વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં તત્વજ્ઞાન અને આંકડાશાસ્ત્ર વિષય એવા છે કે, જેમાં પીએચડી માટે ગાઈડ હેઠળ એકપણ સીટ ન હોવા છતાં 14 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મતલબ એ થયો કે, GCAS પર રજિસ્ટ્રેશન કરાવતા આ 14 વિદ્યાર્થીની ફી રાજ્ય સરકારે ઉઘરાવી લીધી પણ તેને એડમિશન નહીં મળે.

આ ઉપરાંત 2212 વિદ્યાર્થીને 29 પીએચડીમાં એડમિશન મળવાપાત્ર છે. પરંતુ તેમાંથી ત્રણ વિષય એટલે કે રૂરલ સ્ટડીઝ, ફાર્મસી અને ફિઝિયોથેરાપી એવા વિષયો છે કે, જેમાં નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ લેવામાં આવતી નથી. જેથી આ ત્રણ વિષયના 62 વિદ્યાર્થીની દિવાળી પછી પીએચડી પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. હવે બાકીના 26 વિષયમાં 2150 વિદ્યાર્થીને પીએચડીમાં એડમિશન મળવાપાત્ર છે. પરંતુ તેઓ NET પરીક્ષામાં પાસ થશે તો મેરીટના આધારે પીએચડીમાં પ્રવેશ આપવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા NET પરીક્ષા પાસ હોય તેવા વિદ્યાર્થીઓને જ પીએચડીમાં એડમીશન મળશે તેવા નિર્ણયથી અગાઉ પીએચડી પ્રવેશ પરીક્ષા પાસ કરી લીધી છે તેવા તમામ વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. ગાઈડના અભાવે ગત વર્ષે પીએચડીમાં એડમીશન ન મેળવી શકતા વિદ્યાર્થીઓને આ વર્ષે પણ પ્રવેશ ન મળતા તેઓમાં ભારે કચવાટ ફેલાયો છે. NET પાસને જ એડમીશનથી ગાઈડને લીલા લહેર અને વિદ્યાર્થીઓને નુકસાની ભોગવવાનો વખત આવ્યો છે.

Leave a comment

Trending