‘સુશાસન દિવસ’ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો

‘સુશાસન દિવસ’ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓકટોબર 2024થી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેમ, આજે ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું.

ઉદાહરણથી સમજીએ તો જો 100 યુનિટનો વપરાશ હોય અને તેના પર હાલનો ફ્યુઅલ સરચાર્જ 2.85 ગણીએ તો તે 285 રૂપિયા થાય છે. પરંતુ હવે તેમાં 40 પૈસાનો ઘટાડો થવાથી ફ્યુઅલ સરચાર્જ 2.45 થાય છે. જેથી 245 ફ્યુઅલ સરચાર્જ થાય. આમ 100 યુનિટે 40 રૂપિયાની બચત થશે.

આ પહેલાં માર્ચ 2024માં ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કર્યો હતો. તે સમયે ફ્યુઅલ સરચાર્જ 3.35 હતો જે ઘટીને 2.85 થયો હતો. હવે તેમાં પણ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આમ 9 મહિનામાં 90 પૈસા ફ્યુઅલ સરચાર્જ ઘટતા હવે 100 યુનિટ વીજળીએ 90 રૂપિયા બચશે.

ઊર્જા મંત્રીએ કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર આશરે રૂ.1120 કરોડનો લાભ થશે. ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલા ફ્યુઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ-2024થી સપ્ટેમ્બર 2024ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવોમાં થયેલા ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. 2.85 પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવતી હતી. ઓકટોબર-2024થી ડિસેમ્બર 2024ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિયાન પણ રૂ. 2.85 પ્રતિ યુનિટના દરે ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવે છે.

રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓએ ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફ્યુઅલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે. વધુમાં, ચાલુ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઇ, રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ તા. 1/10/2024થી પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ થશે.

વીજ મંત્રીએ દાવો કરતા કહ્યું કે, ઓકટોબરથી ડિસેમ્બર 2024ના ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જનો દર રૂ. 2.85થી ઘટાડીને રૂ.2.45 પ્રતિ યુનિટના દરની વસૂલાત કરવામાં આવશે. આ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર આશરે રૂ. 1120 કરોડનો લાભ થશે. જે રહેણાક ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે છે, તેવા કિસ્સામાં ઉપરોક્ત ફ્યુઅલ સરચાર્જના ઘટાડાને પરિણામે અંદાજે રૂ. 50થી 60ની માસિક બચત થશે.

ઉર્જામંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતના કુલ 18,225 ગામ પૈકી 17,193 ગામમાં 20,51,145 જેટલા ખેતીવાડી વીજ જોડાણો કરવામાં આવ્યા છે. જે પૈકી 16,561 ગામના 18,95,744 જેટલા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાનું શરુ કરી દેવામાં આવ્યું છે.

“કિસાન સૂર્યોદય યોજના” અંતર્ગત 96 ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. જેમાં બાકી રહેતા 4 ટકા ગામ પૈકી મોટા ભાગના ગામો દેવભૂમિ દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે. આ બાકી રહેલા 632 જેટલા ગામના 1,55,401 જેટલા ખેડૂતોને એટલે કે 4 ટકા ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી આપી શકાય તે માટેની કામગીરી પ્રગતિમાં છે અને આ કામગીરી સત્વરે પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

દિવસે વીજળી મેળવી રહેલા 16,561 ગામના ખેડૂતો પૈકી 11,927 ગામના ખેડૂતોને સિંગલ શિફ્ટમાં સવારે 8 થી સાંજના 4 અને સવારે 9 થી સાંજના 5 વાગ્યાના સમય દરમિયાન દિવસે વીજળી આપવામાં આવે છે તથા 4,634 ગામના ખેડૂતોને બે શિફ્ટમાં એટલે કે સવારે 5 થી બપોરના 1 અને બપોરના 1 થી સાંજે 9 વાગ્યા સુધી દિવસે વીજળી આપવામાં આવી રહી છે.

Leave a comment

Trending