નવા વર્ષની શરૂઆત સાથે ફેબ્રુઆરીમાં દેશનું નાણાકીય બજેટ રજૂ કરવામાં આવે છે. આ બજેટમાં દર વર્ષે દેશના નોકરિયાત વર્ગ તરફથી આવકવેરામાં રાહતની માંગ કરવામાં આવે છે. ગયા વર્ષે પણ લોકોએ નાણામંત્રી પાસે ટેક્સ સ્લેબમાં ફેરફારની માંગ કરી હતી. પરંતુ આ વખતે સરકાર તરફથી ટેક્સ નિયમોને લઈને મોટી જાહેરાત થવાની આશા છે.
મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર મધ્યમ વર્ગને કરમાં મોટી રાહત આપવાનું વિચારી રહી છે. એવા લોકોને આ રાહત આપવાની યોજના છે જેમની વાર્ષિક આવક 15 લાખ રૂપિયા સુધી છે. સરકાર 1 ફેબ્રુઆરી, 2025ના રોજ રજૂ થનારા બજેટમાં કરદાતાઓને રાહતની જાહેરાત કરી શકે છે. આવકવેરામાં મોટી રાહત આપવાનો નિર્ણય અર્થતંત્રને વેગ આપવા અને લોકોને વધુ ખર્ચ કરવા પ્રોત્સાહિત કરવાની યોજના છે. જો સરકાર આ પગલું ભરશે તો ભવિષ્યમાં મોંઘવારીનો સામનો કરવો સરળ બનશે.
શહેરોમાં રહેતા લોકો લાંબા સમયથી વધતા ખર્ચ અને ઊંચા ટેક્સ અંગે ફરિયાદ કરી રહ્યા છે. તેથી સરકાર દ્વારા આ ફેરફાર કરવામાં આવે તેવી અપેક્ષા છે. વર્ષ 2020માં લાગુ કરાયેલી નવી કર વ્યવસ્થા અનુસાર જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 3થી 15 લાખ રૂપિયાની વચ્ચે હોય તો તેણે 5 ટકાથી લઈને 20 ટકા સુધીનો ટેક્સ ચૂકવવો પડશે. જો વાર્ષિક આવક 15 લાખ રૂપિયાથી વધુ હોય તો આવકવેરો વધીને 30 ટકા થઈ જાય છે.
હાલમાં દેશમાં કરદાતાઓ પાસે બે પ્રકારના વિકલ્પો છે. તમે તમારી આવક અનુસાર આમાંથી કોઈપણ એક પસંદ કરી શકો છો. પ્રથમ, જૂની કર વ્યવસ્થા, જેમાં તમે ઘરનું ભાડું અને વીમો વગેરે જેવા કેટલાક ખર્ચાઓ માટે છૂટ મેળવી શકો છો. બીજો નિયમ નવી કર વ્યવસ્થા કે આ અંતર્ગત ટેક્સના દર ઓછા છે, પરંતુ મોટાભાગની છૂટ નાબૂદ કરવામાં આવી છે.
જો સરકાર આવકવેરામાં છૂટ આપવાનું નક્કી કરે છે, તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મોટાભાગના લોકો 2020માં લાગુ કરાયેલા નવા ટેક્સ રિજિમને પસંદ કરી શકે છે. અહેવાલોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે હજુ સુધી નક્કી નથી કર્યું કે કેટલી ટેક્સ છૂટ આપવામાં આવશે. નાણા મંત્રાલય કે નાણામંત્રી નિર્મલા સીતારમણ તરફથી આ અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
દેશમાં ટેક્સ સિસ્ટમમાં ફેરફાર પર વિચાર કરવામાં આવી રહ્યો છે કારણ કે અર્થવ્યવસ્થાને લઈને ચિંતાઓ વધી રહી છે. વર્ષ 2024માં સપ્ટેમ્બર ત્રિમાસિકનો જીડીપી ગ્રોથ છેલ્લા સાત ત્રિમાસિક ગાળાની સરખામણીએ ઓછો રહ્યો છે. આ ઉપરાંત ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. જેના કારણે લોકોના ખિસ્સા પર બોજો વધ્યો છે. કાર, ઘરની વસ્તુઓ અને અંગત ઉપયોગની વસ્તુઓનું વેચાણ પણ ઘટી રહ્યું છે. સરકાર ટેક્સમાં છૂટ આપીને લોકોને વધુ ખર્ચ કરવા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે.






Leave a comment