– કિશોરનું હૃદય એકાએક ધડકતાં અટકી ગયું અને તબીબોએ CPR આપી પુનઃ ધબકતું કરી જીવતદાન આપ્યું
– તરુણના લોહીમાં સુગરનું સ્તર ૫૦૦ પહોંચી જતાં ડાયાબિટીક કિટોએસિડોસિસ અર્થાત એસિડ અને સંલગ્ન ઝેરીલા તત્વોનું પ્રમાણ વધતા સર્જાઈ મુશ્કેલી
જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં કિશોરના લોહીમાં ડાયાબિટીક કિટોએસિડોસિસ (DKA) અર્થાત એસિડ અને તેને સંલગ્ન ઝેરીલા પદાર્થનું પ્રમાણ વધી જવાથી અનેક જટિલતાઓ સાથે એકાએક હૃદય ધડકતાં અટકી જતા ઇમરજન્સી અને મેડિસિન વિભાગના તબીબોએ તેને સી.પી.આર. આપી બચાવી લીધો અને ત્યારબાદ ૫ દિવસની પશ્ચતવર્તી સારવાર આપી ઘરે જવા રજા પણ આપી દેવામાં આવી.
કચ્છના અંતરિયાળ વિસ્તારમાંથી અત્રે સારવાર માટે આવેલા ૧૬ વર્ષીય તરૂણના પેટમાં દુખાવાની ફરિયાદ હતી.પેટના દુખાવા સાથે તેને ઉલટી, ઊબકા, શ્વાસ પણ ચડતો હતો. શ્વાસનું પ્રમાણ વધુ હતું. ઇમરજન્સી વિભાગના તબીબો પરિસ્થિતિ પામી જતા તેને આઈ.સી.યુ. માં લઈ સારવાર શરૂ કરી લોહીના રિપોર્ટ કરાવ્યા.સાથે માલુમ પડ્યું કે ઓક્સિજન લેવલ ૯૪ હતું, પણ સુગરનું પ્રમાણ ૫૦૦ પહોંચી ગયું હતું. જે અત્યંત વધુ હતું અને શ્વાસનું સ્તર એક મિનિટમાં ૪૦ જેટલું હોવાથી કિશોરની હાલત નાજુક હતી.
જી.કે.ના મેડિસિન વિભાગના ડો.મોહિની શાહ અને ઇમરજન્સી વિભાગના હેડ ડો.સંકેત પટેલના જણાવ્યા અનુસાર, લોહીના વધુ રિપોર્ટ કરાવતા તેમાં ચોંકી જવાય એટલું ૬.૮ પી.એચ. જણાયું આમ ડાયાબીટીક કિટોએસિડોસિસનું જણાયું તેને ટાઇપ વન ડાયાબિટીસનું નિદાન થયું.
બાદમાં સારવાર ચાલુ કરી પણ તે દરમિયાન કિશોરનું હૃદય એકાએક ધડકતા અટકી ગયું. ઈમરજન્સી અને મેડિસિન તબીબોએ સી.પી. આર.(CPR) આપવાનું શરૂ કર્યું સાથે સાથે તેને વેન્ટિલેટર ઉપર પણ મુકવામાં આવ્યો. સદનસીબે તબીબોની મહેનત લેખે લાગી અને હૃદય પુનઃ ધબકતું થયું. એજ રાત્રે ICU માં અને ત્યારબાદ બીજા દિવસે વેન્ટિલેટર ઉપર લઈ સતત મોનીટરીંગ કર્યું. ૫ દિવસમાં ઉતરોતર સુધારો થતા ડિસ્ચાર્જ આપી દેવાની સાથે ભવિષ્યમાં આ રોગના કોઈ ચિહ્નો જણાય તો તબીબ નો સંપર્ક કરવા પણ જણાવાયું અને સુગર લેવલ વધે નહીં તે માટે માર્ગદર્શન આપ્યું.
ડાયાબિટીક કિટોએસિડોસિસ (DKA) શું છે:
ડાયાબિટીક કીટોએસિડોસિસ (DKA) એ ડાયાબિટીસ સંબંધિત એક શારીરિક સમસ્યા છે. શરીરમાં ઇન્સ્યુલિનની કામગીરી બગડવાને કારણે DKA થઈ શકે છે પરિણામે બ્લડ ગ્લુકોઝ (સુગર)નું સ્તર વધી જાય છે અને શરીરમાં ફેટનું વિઘટન થાય છે. ફેટના વિઘટનથી શરીરમાં કિટોન્સ નામના ઝેરી પદાર્થ બને છે.જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. નિયમિત ઇન્સ્યુલીન લેવાની દર્દીને ફરજ પડે છે.






Leave a comment