ભારતીય વાયુસેનાએ અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર વાયુ ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા શરૂ આજથી એટલે કે, 7 જાન્યુઆરી, 2025થી શરૂ કરવામાં આવી છે. જો કે, વાયુસેનાએ આ અંગે પહેલા જ તેની સૂચના જારી કરી દીધી હતી. રસ ધરાવતાં ઉમેદવારો અધિકૃત વેબસાઇટ agnipathvayu.cdac.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 27 જાન્યુઆરી 2025 છે.
ભારતીય વાયુસેનાએ અધિકૃત રીતે જાહેર કરેલી સૂચના પ્રમાણે ઉમેદવારો છેલ્લી તારીખ પહેલાં અગ્નિવીરવાયુ ભરતી માટે અરજી કરી શકશે. અરજી કરનાર ઉમેદવારે રૂ. 550 પરીક્ષા ફી અને સાથે GST ફી ચૂકવવાની રહેશે. આવો જાણીએ કે, આ જગ્યા માટે શું લાયકાત માંગવામાં આવી છે અને અરજી કરનારની ઉંમર કેટલી હોવી જોઈએ.
અગ્નિવીરવાયુની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી સાથે 50% ગુણ સાથે 12મું પાસ હોવુ ફરજિયાત છે. તેમજ અંગ્રેજી વિષયમાં પણ 50 ટકા ગુણ હોવા જોઈએ. તેમજ મિકેનિકલ/ઈલેક્ટ્રીકલ/ઈલેક્ટ્રોનિક્સ/ઓટોમોબાઈલ/કોમ્પ્યુટર સાયન્સ/ઈન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજી/ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. ડિપ્લોમામાં 50 ટકા અને અંગ્રેજીમાં 50 ટકા માર્ક્સ હોવા જોઈએ. આ ઉપરાંત વધુ માહિતી માટે ઉમેદવારોએ વાયુસેના દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચનાને ચેક કરવી.
આ જગ્યા પર અરજી કરનાર ઉમેદવારની ઉંમર 21 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉમેદવારની જન્મ તારીખ 1 જાન્યુઆરી 2005 થી 1 જુલાઈ 2008 ની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારોએ એ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે માત્ર અવિવાહિત ઉમેદવારો (પુરુષ અને સ્ત્રી) અગ્નિવીરવાયુ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
વાયુસેનામાં અરજદારોની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક ફિટનેસ ટેસ્ટ (PFT) અને તબીબી પરીક્ષા દ્વારા કરવામાં આવે છે. લેખિત પરીક્ષા CBT મોડમાં હશે, અને તે 22 માર્ચ 2025ના રોજ લેવામાં આવશે. પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો PFTમાં સામેલ થશે.






Leave a comment