બોટાદના રાણપુર તાલુકાના નાગનેશધામ મોટા મંદિર અને પતીત પાવનદાસબાપુના સંકલ્પથી 55 કરોડ રામનામ લખેલી 48,000 હજાર પુસ્તિકા પ્રયાગરાજ મહાકુંભ મેળામાં લઈ જવામાં આવશે. નાગનેશધામ મોટા મંદિરના ટ્રસ્ટીના જણાવ્યા મુજબ, કુંભમેળાના ઇતિહાસમાં પ્રથમ વખત રામનામનો રેકોર્ડ બનશે, જે વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં રેકોર્ડ નોંધશે.
પ્રયાગરાજ મહાકુંભ મેળામાં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશધામ મોટા મંદિર તરફથી સેવા કેન્દ્ર ખાલસા ખોલવામાં આવશે. આ અખાડાના પતીત પાવનદાસબાપુના સંકલ્પથી 55 કરોડ રામનામ લખેલી 48,000 હજાર પુસ્તિકા ટ્રક મારફત પ્રયાગરાજ લઇ જવાશે, જ્યાં એને ભક્તોનાં દર્શન માટે મૂકવામાં આવશે. આ ઉપરાંત મોટા મંદિર દ્વારા 3 વીઘા વિશાળ જગ્યામાં ટેન્ટ અને ડોમ ઊભો કરી ચા-પાણી-નાસ્તો અને ભોજન રાત્રે 1 વાગ્યા સુધી એક મહિના સુધી આપવામાં આવશે.
આગામી પ્રયાગરાજ મહાકુંભ 2025માં શ્રીમોટા રામજી મંદિર નાગનેશ ધામ તરફથી પતીત પાવનદાસજી મહારાજના સાંનિધ્યમાં પ્રયાગરાજ મહાકુંભ મેળામાં સતત એક માસ સુધી અન્નક્ષેત્ર અને સેવા કેન્દ્ર ખોલવામાં આવશે. અખિલ ભારતીય અખાડા પરિષદ તરફથી બાપુને કુંભમેળામાં અન્નપૂર્ણા રોડ અને નાગવાસુકી રોડના ચાર રસ્તા ઉપર ત્રણ વીઘા જેટલી વિશાળ જગ્યા ફાળવવામાં આવેલી છે. આ જગ્યામાં વિશાલ ટેન્ટ અને ડોમ ઊભો કરી કોઈપણ જાતના જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર ભક્તજનોને ચા-પાણી-નાસ્તો અને ભોજન રાત્રિના એક વાગ્યા સુધી એક માસ સુધી આપવામાં આવશે.






Leave a comment