ઇપીએફમાં જમા રકમ પરનો વ્યાજ દર 8.25 ટકા યથાવત રખાયો

રિટાયરમેન્ટ ફંડ બોડી ઇપીએફઓએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ)ની ડિપોઝીટ પર ૮.૨૫ ટકા વ્યાજ દર યથાવત રાખવાનો આજે નિર્ણય લીધો છે. 

ઉલ્લેખનીય છે કે ઇપીએફઓએ ફેબ્રુઆરી ૨૦૨૪માં ઇપીએફ પરના વ્યાજ દરન ૮.૧૫ ટકા વધારી નાણાકીય વર્ષ ૨૦૨૩-૪ માટે ૮.૨૫ ટકા કર્યો હતો. 

શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સીબીટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ)એ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે ઇપીએફના સભ્યોના ખાતામાં જમા રકમ પર ૮.૨૫ ટકા વ્યાજ આપવાની ભલામણ કરી હતી.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાનના નેતૃત્ત્વમાં મળેલ ઇપીએફઓના સીબીટીની ૨૩૭મી બેઠકમાં ઇપીએફઓમાં જમા રકમ પરના વ્યાજ દર અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મંત્રાલયે જણાવ્યું હતું કે અન્ય ઘણી ફિકસ્ડ આવકવાળી સ્કીમ કરતા ઇપીએફમાં ઉંચુ અને સ્થિર વળતર આપવામાં આવે છે જે બચતની નિયમિત વૃદ્ધિ સુનિશ્ચિત કરે છે. 

ઇપીએફ ડિપોઝીટ પર મળતું વ્યાજ ટેક્સ ફ્રી (ચોક્કસ મર્યાદામાં) હોવાથી નોકરિયાત વર્ગમાં ઇપીએફ ખૂબ જ આકર્ષક રોકાણ વિકલ્પ છે. 

સીબીટીના નિર્ણય પછી ૨૦૨૪-૨૫ માટે ઇપીએફ જમા રકમ પર નક્કી કરાયેલ ૮.૨૫ ટકા વ્યાજ દરને મંજૂરી માટે નાણા મંત્રાલય પાસે મોકલવામાં આવશે. સરકારની મંજૂરી પછી ૨૦૨૪-૨૫ માટે ઇપીએફના વ્યાજ દરને ઇપીએફઓના સાત કરોડથી વધુ ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવશે. 

Leave a comment

Trending