લાંબા સમય સુધી લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ મહિલા તેના પાર્ટનર પર બળાત્કારનો આરોપ લગાવી શકશે નહીં. હાલમાં જ સુપ્રીમ કોર્ટે રેપ કેસમાં આ ચુકાદો આપ્યો છે. ખાસ વાત એ છે કે બંને એક દાયકા કરતાં પણ વધુ સમયથી સાથે રહેતા હતા. કોર્ટે આ આરોપોને સંબંધોમાં ખટાશનો મામલો ગણાવ્યો છે. મહિલાના લિવ-ઈન પાર્ટનરને ફોજદારી કાર્યવાહીમાંથી રાહત આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ અરજી પર સુનાવણી કરતાં જણાવ્યું કે, આવા સંજોગોમાં એ સ્પષ્ટ ન કરી શકાય કે લગ્નના વચનના આધારે જ શારીરિક સંબંધ બનાવવામાં આવ્યા હતા. મહિલાનો આરોપ છે કે તેણે લગ્નના વચનના આધારે કથિત આરોપી બેન્ક ઓફિસર સાથે 16 વર્ષ સુધી સંબંધો નિભાવ્યા હતા. બંને 16 વર્ષ સુધી લિવ-ઈનમાં સાથે રહ્યા હતાં. કરી રહી હતી.
ફરિયાદી મહિલા વ્યવસાયે લેક્ચરર છે. કોર્ટે તેમની અરજી સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંને ભણેલા-ગણેલા હતા અને સંબંધો સહમતિ સાથે હતા. બંને અલગ-અલગ શહેરોમાં રહેતા હોવા છતાં બંને એકબીજાના ઘરે આવતા-જતા હતા. કોર્ટે કહ્યું કે આ સ્પષ્ટપણે સંબંધોમાં તિરાડનો મામલો છે.
બેન્ચે કહ્યું કે, ‘એ માનવું મુશ્કેલ છે કે ફરિયાદી લગભગ 16 વર્ષથી કથિત આરોપીની દરેક માંગ સામે ઝૂકી રહી છે અને તેણે વિરોધ કર્યા વિના સંબંધો બાંધ્યા છે. ફરિયાદીએ લગ્નના ખોટા વચનના આધારે તેનું યૌન શોષણ થયુ હોવાનો દાવો કર્યો છે. આ વાત હજમ થવી મુશ્કેલ છે. 16 વર્ષનો લાંબો સમયગાળો, જે દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધ કોઈપણ વિરોધ વિના ચાલુ રહ્યો છે. જેના પરથી તારણ કાઢી શકાય કે, બંનેના સંબંધમાં ક્યારેય કોઈ બળજબરી કે છેતરપિંડી થઈ નથી. કોર્ટે વધુમાં કહ્યું હતું કે જો આ વાતને સ્વીકારીએ કે, લગ્નના કથિત વચનની આડમાં યૌન શોષણ થયુ હતું, તો પણ તેઓ આટલા લાંબા સમયનો સંબંધ તેમના દાવા નબળા પાડે છે.






Leave a comment