હિમાચલના બિલાસપુરમાં ભૂસ્ખલનની ઝપેટમાં આવી બસ

હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મોટી દુર્ઘટના બની છે. બિલાસપુર જિલ્લાના ઝંડૂતા તાલુકાના બાલૂઘાટ નજીક બુધવારે એક ખાનગી બસ પર ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) થતાં અનેક લોકોના કરૂણ મોત થયા છે. મળતી માહિતી અનુસાર, બસ પર અચાનક પહાડનો કાટમાળ પડતા બસમાં સવાર મુસાફરો દબાયા હતા. દુર્ઘટના બાદ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા કાટમાળ હટાવવા અને દબાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં બસમાં કેટલા લોકો સવાર હતા તેની પુષ્ટિ થઈ શકી નથી.

JCBની મદદથી બસને તોડીને મુસાફરોને બહાર કાઢવા પડ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં 15 મૃતદેહોને બહાર કઢાયા હતા, જ્યારે 2 બાળકોને જીવતા બહાર કઢાયા હતા. બસમાં કેટલા મુસાફરો સવાર હતા તેનો આંકડો હજુ સુધી બહાર નથી આવ્યો. હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે.

આસપાસના લોકો પણ રાહત અને બચાવ કામગીરીમાં લાગ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે, બચાવ કામગીરી આખી રાત ચાલુ રહેશે અને જલ્દીથી ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ બસ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને રાહત કામગીરીમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા છે. તેમણે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા દિવંગત આત્માઓની શાંતિ માટે ઇશ્વરને પ્રાર્થના કરી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આ દુઃખના સમયમાં પીડિત પરિવારોની સાથે મજબૂતીથી ઉભી છે અને તેમણે શક્ય તમામ મદદ પ્રદાન કરાશે.

મુખ્યમંત્રી સતત જિલ્લા તંત્રના સંપર્કમાં છે અને તેમણે રાહત અને બચાવ કામગીરીમાં વધુ ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા છે. તેમણે પણ એ નક્કી કરવા કહ્યું છે કે, ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવે અને તેની સારવારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે. મુખ્યમંત્રી શિમલાથી સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

Leave a comment

Trending