રેશન કાર્ડ હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં

રાજ્યના લાખો રેશનકાર્ડ ધારકો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત હવેથી રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા (Identity Proof) કે રહેઠાણના પુરાવા (Address Proof) તરીકે કરી શકાશે નહીં.

વિભાગ દ્વારા આ અંગે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે રેશનકાર્ડની માન્યતા હવે માત્ર રેશનકાર્ડ મેળવવા અને રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ સબસિડીવાળું અનાજ મેળવવા પૂરતી જ સીમિત રહેશે.

સરકારના આ નિર્ણયને કારણે હવે બેંક ખાતું ખોલાવવું, મોબાઇલ સિમ કાર્ડ મેળવવું, કે સરકારી યોજનાઓનો લાભ લેવા જેવી વિવિધ સેવાઓ અને દસ્તાવેજો માટે રેશનકાર્ડ રજૂ કરી શકાશે નહીં. આ માટે નાગરિકોએ આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ અથવા અન્ય માન્ય સરકારી દસ્તાવેજોનો ઉપયોગ કરવો પડશે. આ નિર્ણયનો હેતુ રેશનકાર્ડનો દુરુપયોગ અટકાવવાનો અને તેના મૂળ હેતુ—ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને અનાજનું વિતરણ સુનિશ્ચિત કરવાનું મનાય છે.

આ નવા નિયમ લાગુ થતાં લોકો માટે હવે ઓળખ અને સરનામાં પુરાવા માટે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળીનું બિલ, ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા અન્ય માન્ય દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. સરકાર દ્વારા આ નિર્ણય બાદ વિવિધ વિભાગોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ કોઈપણ અરજી અથવા પ્રક્રિયામાં રેશન કાર્ડને પુરાવા તરીકે સ્વીકારશે નહીં.

Leave a comment

Trending