– ENT શાખાને આધુનિક ઢબે ધબકતી કરવા બદલ ડો. નરેન્દ્ર હિરાણીને વેસ્ટ ઝોન ઓફ ઇન્ડિયાના શ્રેષ્ઠ તબીબ તરીકેનો હેલ્થ કેર એવોર્ડ
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો નરેન્દ્ર હિરાણીને ENT વિભાગની સેવાઓને પાયાના સ્તરેથી ટાંચા સાધનો વચ્ચે પણ વૈશ્વિક કક્ષાની સેવા ઉપલબ્ધ બનાવવા માટે કરેલી ૨૩ વર્ષની અથાક સફળ મહેનતના પગલે હેલ્થ કેર દ્વારા દેશના વેસ્ટ ઝોન વિભાગના શ્રેષ્ઠ ENT તબીબ તરીકે એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં અર્પણ કરવામાં આવ્યો હતો.
ડો.હિરાણીના નામે અંતિમ ૨૩ વર્ષમાં અનેક કામગીરી ઉડીને આંખે વળગે એવી છે. કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપ પછી જી.કે.જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ સરકારી અને ખાનગી વ્યવસ્થાનું નિર્માણ થયું અને આજ લગી એકજ જી.કે.માં કાર્યરત રહી, સરહદી અને ગ્રામ્ય વિસ્તારથી બનેલા કચ્છના લોકોના કાન, નાક અને ગાળાની અનેક તબીબી સમસ્યા હતી. દેશના વેસ્ટ ઝોનના આ છેવાડાના વિસ્તારના તબીબી ક્ષેત્રે ઉત્થાન માટે ક્લિનિકલી નેતૃત્વ લઈ વિભાગને નવોત્થાન તરફ લઈ ગયા એ હકીકતને તેમની મોટી સફળતા ગણી હેલ્થ કેર એવોર્ડ અર્પણ કરાયો છે.
પરિણામે આજે હોસ્પિટલનો ENT વિભાગ કચ્છમાં સૌથી વધુ ધબકતો છે. અહીં આજે અતિ આધુનિક સર્જરી હાથ ધરાય છે. જેમાં સ્કલ બેઝ્ડ સર્જરી અર્થાત્ ખોપડીના નીચેના ભાગમાં જટિલ ગાંઠ, શિર અને ગરદનની પ્રયુક્ત કેન્સરની ગાંઠ, ENT પ્લાસ્ટિક સર્જરી,m ચહેરો, નાક, ગર્દન, મોઢું અને જડબાની વિશિષ્ઠ પ્રકારની સર્જરીનો સમાવેશ થાય છે.
માત્ર સર્જરી અને કેન્સરની સારવાર નહીં પણ તેમના કારણે કેટલીક સામાજિક મેડિકલ સમસ્યા જેમકે, બહેરામૂંઘા બાળકો માટે કોંકલીયર ઇમ્પ્લાન્ટ સેવા આવરી લેવાઈ છે. બહેરામૂંઘા બાળક માટે આ હોસ્પિટલ રાજ્યમાં ચોથી પબ્લિક સેક્ટર હોસ્પિટલ છે. કાનની તકલીફને કારણે વર્ટિગો તબીબી સેવા ઉપલબ્ધ બની છે. આ ઉપરાંત GAIMSને NABH કક્ષાની હોસ્પિટલમાં તબદીલ કરવા અને સર્જીકલ સલામતીના તમામ ધોરણોને મૂર્તિમંત કરવાના પગલા મહત્વના કદમ ગણી એવોર્ડ માટે પસંદગી થઈ છે.
તેમણે સેવા અને સુશ્રુષા સાથે મેડિકલ કોલેજના આ ENT વિભાગના વિધાર્થીઓના ભાવિનું નિર્માણ કરવામાં મહત્વનું યોગદાન રહ્યું છે. અદાણી મેડિકલ કોલેજના સેંકડો ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિધાર્થીઓના આજે પણ તેઓ પ્રેરણારૂપ છે. તેમની આ સિધ્ધિ ઉપરાંત તેઓ ભુજ ઇન્ડિયન મેડિકલ એસો.ના પ્રેસિડેન્ટ અને ગુજરાત સ્તરે આઈ. ઓ. એ.ના પ્રમુખ રહી ચૂક્યા છે.
કચ્છ ઉપર ત્રાટકેલા વિનાશકારી ભૂકંપ, કાળમુખો કોરોના અને બીપોરજોય જેવા વાવાઝોડાની કુદરતી અને માનવસર્જિત આફતોમાં પણ તેમણે સેવા બજાવી છે. ભૂકંપ ટાંકણે તત્કાલિન આરોગ્યમંત્રી સાથે ભૂકંપગ્રસ્તોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરી તેમની આરોગ્ય સંભાળ તેમજ કોવિડમાં કામગીરી અંગે અને હોસ્પિટલના ઉત્થાનમાં નેતૃત્વનો અને સામાજિક જવાબદારીની કટિબદ્ધતાની પરિચય આપ્યો હતો. આ તમામ બાબતો ધ્યાનમાં લઈ તેમને દેશના વેસ્ટઝોન વિભાગના શ્રેષ્ઠ ENT તબીબનો પારિતોષિક આપવામાં આવ્યો છે. બી.જે. મેડિ. કોલેજ અમદાવાદના તેઓ ENT અભ્યાસક્રમમાં સુવર્ણ ચંદ્રક વિજેતા મેડિકલ સ્ટુડન્ટ્સ રહ્યા છે.






Leave a comment