દિલ્હી આતંકી બ્લાસ્ટ કેસને લઈને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ સોમવારે કાશ્મીરમાં લગભગ 10 સ્થળોએ દરોડા પાડ્યા. એજન્સીએ મૌલવી ઇરફાન અહેમદ, ડો. આદિલ, ડો. મુઝમ્મિલ, આમિર રશીદ અને જસીર બિલાલના ઘરો પર દરોડા પાડ્યા છે.
ન્યૂઝ એજન્સી PTI અનુસાર, NIAના દરોડા શોપિયાંના નાદિગામ ગામ, પુલવામાના કોઇલ, ચંદગામ, મલંગપોરા, સંબુરા અને કુલગામમાં ચાલી રહ્યા છે. ટીમો એવા પુરાવા શોધી રહી છે જે વ્હાઇટ કોલર ટેરર નેટવર્ક અને દિલ્હી બ્લાસ્ટ સાથે સંકળાયેલા હોઈ શકે છે.
કેન્દ્રીય તપાસ એજન્સી ડો. ઉમર નબીના સાથી જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશના ઘરે પણ તપાસ કરી રહી છે. જસીર દિલ્હી બ્લાસ્ટના મુખ્ય સહ-ષડયંત્રકારોમાંનો એક માનવામાં આવે છે. તેના પર ઉમર સાથે મળીને હમાસની જેમ ભારતમાં ડ્રોન હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ છે.
દિલ્હી કાર બ્લાસ્ટમાં NIAએ મૌલવી ઇરફાન, ડો. આદિલ, જસીર બિલાલ સહિત 7 લોકોની અત્યાર સુધી ધરપકડ કરી છે. તેમાંથી 5 જમ્મુ-કાશ્મીરના રહેવાસી છે. ધમાકામાં પોતાને ઉડાવી દેનાર ડો. ઉમર પણ પુલવામાનો રહેવાસી હતો. તે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતો.
NIAએ 17 નવેમ્બરે જસીરની શ્રીનગરથી ધરપકડ કરી હતી. તે અનંતનાગના કાઝીકુંડનો રહેવાસી છે. તેણે અનંતનાગ જિલ્લાના કાઝીગુંડમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. દિલ્હી બ્લાસ્ટમાં તેની સક્રિય ભૂમિકા રહી છે.
આરોપ છે કે જસીર બોમ્બ વિસ્ફોટ માટે ડ્રોન મોડિફાય કરતો હતો અને રોકેટ બનાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જસીર ગયા વર્ષે ઓક્ટોબરમાં કુલગામની એક મસ્જિદમાં ઉમરને પહેલીવાર મળ્યો હતો. ત્યારબાદ તે ટેરર મોડ્યુલમાં સામેલ થઈ ગયો.
સૂત્રો અનુસાર, શરૂઆતમાં અન્ય આતંકવાદીઓ ઈચ્છતા હતા કે જસીર જૈશ-એ-મોહમ્મદ માટે એક સક્રિય કાર્યકર તરીકે કામ કરે, પરંતુ ઉમરે તેને આત્મઘાતી હુમલાખોર બનવા માટે ઉશ્કેર્યો.
જોકે, એપ્રિલ 2025માં જસીરે આર્થિક તંગી અને ઇસ્લામમાં આત્મહત્યાને હરામ ગણાવતા આત્મઘાતી હુમલાખોર બનવાનો ઇનકાર કર્યો. પરંતુ તેણે આતંકવાદી ઉમરને ટેકનિકલ સપોર્ટ આપવાનું ચાલુ રાખ્યું.






Leave a comment