રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્યગોપાલ દાસની તબિયત લથડી

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત લથડી છે. 87 વર્ષીય નૃત્ય ગોપાલ દાસને સોમવાર રાતથી ઊલટી-ઝાડા થઈ રહ્યા હતા. બુધવારે સવારે શ્રીરામ હોસ્પિટલના નિવૃત્ત ડોક્ટર એસકે પાઠકે તેમનું ચેકઅપ કર્યું. તરત જ તેમને લખનૌ મેદાંતા લઈ જવા માટે કહ્યું. જાણકારી અનુસાર મહંતે છેલ્લા 36 કલાકથી કંઈ પણ ખાધું નથી.

શ્રીરામ હોસ્પિટલના પ્રશાસનિક અધિકારી વાયપી સિંહે જણાવ્યું કે – મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત ખરાબ હોવાની સૂચના મળી હતી. ડોકટરોની ટીમે તેમની તપાસ કરી. ત્યારબાદ મેડિકલ ટીમ અને એક એમ્બ્યુલન્સ સાથે તેમને મેદાંતા હોસ્પિટલ રવાના કરવામાં આવ્યા. તેમના ઉત્તરાધિકારી મહંત કમલનયન દાસ પણ તેમની સાથે છે. હવે ત્યાંથી મેડિકલ રિપોર્ટ આવ્યા પછી જ આગળ કોઈ જાણકારી આપી શકાય છે.

જણાવી દઈએ કે નૃત્ય ગોપાલ દાસ શ્રીકૃષ્ણ જન્મભૂમિ ન્યાસના પણ અધ્યક્ષ છે. દેશ-વિદેશમાં તેમના લાખો શિષ્યો છે. CM યોગી જ્યારે પણ અયોધ્યા આવે છે ત્યારે તેઓ મહંત નૃત્ય ગોપાલ દાસના ખબરઅંતર પૂછવા અને તેમના આશીર્વાદ લેવા મણિરામદાસજીની છાવણી ચોક્કસ પહોંચે છે.

પાંચ વર્ષ પહેલાં કોરોના કાળમાં મહંતને મથુરામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ દરમિયાન કોરોના થયો હતો. ત્યારથી તેમના સ્વાસ્થ્યમાં સતત ઉતાર-ચઢાવ ચાલી રહ્યો છે. તેમને અગાઉ પણ ઘણી વખત લખનઉની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વર્ષ 2020 અને સપ્ટેમ્બર 2024માં પણ તેમને મેદાંતા લખનઉમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પહેલા 27 નવેમ્બર 2025 ના રોજ મથુરા-વૃંદાવનથી પ્રેમાનંદ મહારાજના શ્રીરાધા કેલી કુંજ આશ્રમમાં મહંત નૃત્ય ગોપાલ દાસ પહોંચ્યા હતા. આ દરમિયાન સંત પ્રેમાનંદ મહારાજે ભાવવિભોર થઈને તેમનું સ્વાગત કર્યું હતું. ખુદ પ્રેમાનંદ મહારાજે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

આગમન દરમિયાન પ્રેમાનંદ મહારાજે મહંત નૃત્યગોપાલ દાસના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા હતા. ત્યારબાદ તેમણે મહંતને પોતાના આસન પર બેસાડ્યા. પ્રેમાનંદ મહારાજે જમીન પર બેસીને તેમના ચરણ ધોયા, માળા પહેરાવી અને આરતી ઉતારી. સંતો-શ્રદ્ધાળુઓ સતત રાધા નામનું કીર્તન કરી રહ્યા હતા.

ત્યારે મહંત નૃત્ય ગોપાલ દાસે કહ્યું હતું કે- ભગવાન રામ વિના કોઈ કાર્ય થઈ શકતું નથી. ભગવાનની કૃપા વિના કોઈ કાર્ય થતું નથી. એટલે, આપણે ભગવાનની કૃપા પર નિર્ભર રહેવું જોઈએ. ભગવાનના નામ વિના સંસારનું કોઈ કાર્ય થઈ શકતું નથી. એટલે ભગવાનનું નામ લેવું જોઈએ.

Leave a comment

Trending