G20 દેશોમાં ભારતીય અર્થતંત્રનો વિકાસ સૌથી ઝડપી

ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતીય અર્થતંત્રને લઈને લેટેસ્ટ અનુમાન જાહેર કર્યા છે. મૂડીઝ અનુસાર, આગામી નાણાકીય વર્ષ (2026-27)માં ભારતનો GDP 6.4%ના દરે વધી શકે છે.

મૂડીઝે કહ્યું કે આ ગતિ દુનિયાની મુખ્ય અર્થવ્યવસ્થાઓવાળા G20 દેશોના ગ્રુપમાં સૌથી વધુ હશે. એજન્સીએ આ પાછળ મજબૂત ઘરેલું વપરાશ, સરકારના નીતિગત નિર્ણયો અને દેશની સ્થિર બેંકિંગ સિસ્ટમને મુખ્ય કારણ જણાવ્યું.

મૂડીઝનું આ અનુમાન ભારત સરકાર અને રિઝર્વ બેંક (RBI)ના અનુમાનની સરખામણીમાં થોડું ઓછું છે. ગયા મહિને સંસદમાં રજૂ થયેલા ઇકોનોમિક સર્વેમાં નાણાકીય વર્ષ 2027 માટે 6.8% થી 7.4% વૃદ્ધિનો અંદાજ જણાવવામાં આવ્યો હતો.

જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ પણ તાજેતરમાં તેની મોનેટરી પોલિસી મીટિંગમાં નાણાકીય વર્ષ 2027ના પ્રથમ છ મહિના માટે લગભગ 7% વૃદ્ધિની અપેક્ષા વ્યક્ત કરી છે.

મૂડીઝના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2025માં GSTના નિયમોમાં થયેલા ફેરફારો અને પર્સનલ ઇન્કમ ટેક્સની મર્યાદા વધારવાથી લોકોના ખિસ્સામાં વધુ પૈસા બચશે. તેનાથી બજારમાં માગ વધશે.

રેટિંગ એજન્સીએ તેના બેંકિંગ સિસ્ટમ આઉટલુક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતીય બેંકોની સ્થિતિ સારી રહેશે.

  • લોનની માગ: નાણાકીય વર્ષ 2027માં ભારતીય બેંકોની લોન વૃદ્ધિ 11-13% રહેવાનો અંદાજ છે.
  • NPL પર નિયંત્રણ: બેંકોનું નોન-પર્ફોર્મિંગ લોન લેવલ 2% થી 2.5% ની વચ્ચે રહેવાની અપેક્ષા છે, જે ખૂબ જ સુરક્ષિત સ્તર છે.
  • MSME પર દબાણ: નાના અને MSME પર થોડું દબાણ જોવા મળી શકે છે, પરંતુ બેંકો પાસે આ નુકસાન સહન કરવા માટે પૂરતી મૂડી છે.

રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ છે કે ફેબ્રુઆરી 2026માં ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ પછી એક્સપોર્ટ સેક્ટર સાથે સંકળાયેલી કંપનીઓની સ્થિતિમાં સુધારો આવશે. તેનાથી નાના ઉદ્યોગસાહસિકો (MSME)નો તણાવ ઓછો થશે અને રોકાણની નવી સંભાવનાઓ ઊભી થશે.

મૂડીઝનું માનવું છે કે મોંઘવારી હવે નિયંત્રણમાં છે, તેથી રિઝર્વ બેંક વ્યાજ દરોમાં ઘટાડો ચાલુ રાખી શકે છે. જોકે, તે આ વાત પર નિર્ભર કરશે કે અર્થતંત્રમાં મંદીના કોઈ સંકેત તો નથી મળી રહ્યા.

વર્ષ 2025માં RBI પહેલાથી જ વ્યાજ દરોમાં 1.25%નો ઘટાડો કરી ચૂક્યું છે, જેના કારણે હાલમાં રેપો રેટ 5.25% પર છે.

Leave a comment

Trending