મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે ચાલી રહેલા ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે PNGને પ્રોત્સાહન આપનારા રાજ્યોને 10 ટકા વધારાનો LPG ગેસ આપવાની જાહેરાત કરી છે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું છે કે, પશ્ચિમ એશિયામાં સંકટના કારણે ભારતની ઊર્જા પૂરવઠાની સ્થિતિ હજુ પણ નાજુક છે. તેમણે કહ્યું કે, PNG (પાઇપ્ડ નેચુરલ ગેસ)નો વિસ્તાર વધારનારા રાજ્યોને 10 ટકા વધારાનો રાંધણ ગેસ (LPG) મળશે.
સુજાતા શર્માએ કહ્યું કે, ‘કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન મળશે અને વર્તમાન સંકટમાં ઊર્જા સુરક્ષા પણ મજબૂત થશે. આ પહેલથી રાજ્યોમાં PNG સ્ટ્રક્ચરનો વિકાસ ઝડપી બનશે. જે રાજ્યો PNG કનેક્શનોની સંખ્યા વધારશે અને PNG વિતરણને મજબૂત કરવામાં સક્રિય ભૂમિકા ભજવશે, તે રાજ્યોને વધારાનો રાંધણ ગેસ આપવામાં આવશે.’
તેમણે કહ્યું કે, છેલ્લા બે અઠવાડિયામાં દેશભરમાં સવા લાખ નવા ઘરેલું અને વાણિજ્યિક એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં પાંચ હજારથી વધુ ગ્રાહકો LPGથી PNG કનેક્શન તરફ વળ્યાં છે. તેમણે ઊર્જા સંકટ અંગે માહિતી આપતા કહ્યું કે, ‘દેશમાં કાચા તેલની સ્થિતિ અને રિફાઇનરીઓનું સંચાલન સામાન્ય રીતે કાર્યરત છે. પેટ્રોલ પંપો પર ઓઈલની અછત હોવાની કોઈપણ ફરિયાદ થઈ નથી અને તમામ આઉટલેટ પર સામાન્ય રીતે કામ ચાલી રહ્યું છે. કપાત વગર PNG અને CNGની પૂરવઠો કોઈપણ કપાત વગર સમયસર પૂરો પાડવા માટે તે પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
પેટ્રોલિય મંત્રાલયે વાહનમાં LPGનો ઉપયોગ કરતા ગ્રાહકોને CNG તરફ વળવાની અપીલ કરી છે અને તે માટે કંપનીઓ પ્રોત્સાહન રકમ પણ આપી રહી છે. સરકારે PNG નેટવર્ક વધારનારા રાજ્યોને 10 ટકા વધારાનો LPG આપવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા બે સપ્તાહમાં ઘરેલું, વાણિજ્યિક અને ઔદ્યોગિકમાં લગભગ 1,25,000 LPG કનેક્શન અપાયા છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ દિવસમાં 5600થી વધુ LPG ગ્રાહકોએ PNGનો ઉપયોગ શરૂ કર્યો છે.






Leave a comment