ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત ડૉ.મોહમ્મદ ફતાલી સાથે મહત્ત્વપૂર્ણ બેઠક યોજી પશ્ચિમ એશિયાની સ્થિત પર ચર્ચા કરી છે. બંને નેતાઓએ મધ્ય-પૂર્વમાં વધી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ પર વાતચીત કરી છે. પડકારજનક સમય ઈરાન સરકારે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને મદદ કરતા જયશંકરે આભાર વ્યક્ત કર્યો છે. આ મુલાકાત ભારત-ઈરાન વચ્ચેના રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવા અને પ્રાદેશિક સ્થિરતા માટે પરસ્પર સહયોગને પ્રતિબિંબિત કરે છે.
બેઠક દરમિયાન બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ મુદ્દે વિગતવાર વાતચીત કરી હતી. આ ક્ષેત્રમાં વધતી અસ્થિરતા ભારત-ઈરાન બંને માટે ચિંતાનો વિષય છે. જશકંર અને ફતાલીએ શાંતિ સ્થાપવા માટે વાચતીતનો રસ્તો અપનાવવા પર ભાર આપ્યો છે. આ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવાનો અને પ્રાદેશિક ઘટનાઓની અસર દ્વિપક્ષીય વેપાર કે આર્થિક હિતો પર ન પડે તે સુનિશ્ચિત કરવાનો હતો.
વિદેશ મંત્રીએ ઈરાનમાં રહેતા ભારતીય સમાજનો વિશેષ ઉલ્લેખ કર્યો છે. મુશ્કેલ સમયમાં ઈરાની અધિકારીઓએ ભારતીયોને જે સહયોગ અને સુરક્ષા આપી છે, તે માટે જયશંકરે રાજદૂતનો આભાર માન્યો છે. વિદેશની ધરતી પર રહેતા ભારતીયોની સલામતી ભારત સરકારની પ્રાથમિકતા છે. આ મામલે ઈરાને વિશ્વાસપાત્ર મિત્રની ભૂમિકા નિભાવી છે. આનાથી બંને દેશો વચ્ચે માનવીય સ્તર પરનો પરસ્પર વિશ્વાસ વધુ મજબૂત થયો છે.
ભારત અને ઈરાન સંમત થયા છે કે, વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે પણ આ ક્ષેત્રમાં શાંતિ જાળવવી જરૂરી છે. ભારતે તણાવ ઘટાડવાનો અને રાજદ્વારી રસ્તો અપનાવવાની તરફેણ કરી છે. ઈરાની રાજદૂત સાથેની આ ચર્ચા ભવિષ્યમાં વધુ સહયોગ માટેના નવા રસ્તાઓ ખોલી શકે છે. બંને દેશો આગામી સમયમાં સુરક્ષા અને વેપારી મુદ્દે પણ વધુ નજીર આવીને કામ કરવા માટે તૈયાર હોવાનું દેખાઈ રહ્યું છે.





Leave a comment