અરવિંદ કેજરીવાલ ચાર દિવસ ગુજરાતના પ્રવાસે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 માર્ચથી ચાર દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે, ત્યારે અરવિંદ કેજરીવાલે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતા ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ દ્વારા અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કેજરીવાલે PM મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાન તાકતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની નબળી વિદેશ નીતિને કારણે પેટ્રોલ અને ડીઝલ તેમજ ગેસની સપ્લાયમાં તકલીફ પડી રહી છે. યુદ્ધના એક દિવસ પહેલા મોદીએ ઇઝરાયેલ જવાની શું જરૂર હતી. ટ્રમ્પની ગુલામી કરવાની શું જરૂર હતી.

ઈરાન સાથે દુશ્મની ન કરી હોત તો આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલની તકલીફનો સામનો કરવો ન પડ્યો હોત. આ ઉપરાંત આગામી સ્થાનિક સ્વરાજ તેમજ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અરવિંદ કેજરીવાલે પેટ્રોલ-ડીઝલ મામલે નિવેદન આપાત જણાવ્યું હતું કે, ગુજરાતના પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો લાગી છે. પ્રધાનમંત્રીએ જ કહ્યું કે, આવનારા દિવસો ચિંતાજનક છે. પીએમ મોદીએ યુદ્ધના એક દિવસ પહેલાં ઇઝરાયેલ જવાની શું જરૂર હતી. આખા દેશને ટ્રમ્પના કદમોમાં રાખવાની શું જરૂર હતી. ઇરાન સાથે દુશ્મની કરવાની શું જરૂર હતી. આજે ભારતનું એકપણ જહાજ ત્યાંથી ગેસ કે, પેટ્રોલ લઈને નીકળી શકતું નથી. પીએમ મોદીએ ન્યુટ્રલ સ્ટેન્ડ રાખ્યું હોત તો આજે પેટ્રોલ અને ડીઝલ માટે આ પરિસ્થિતિ ન હોત.

કેજરીવાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કહ્યું હતું કે, આગામી દિવસોમાં સરકાર પણ આમ આદમી પાર્ટીની બનવા જઈ રહી છે. તેમજ બે વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી આવવાની છે, ત્યારે સરકાર આમ આદમી પાર્ટીની હશે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, પંજાબમાં અગાઉ અન્ય પક્ષની સરકાર હતી, ત્યારે ખેડૂતો સહિતના લોકો પરેશાન હતા, પરંતુ હવે ત્યાં ખેડૂતો ખૂબ જ ખુશ છે. ગુજરાતમાં પણ આ રીતે ખેડૂતોની સમસ્યા દૂર કરવામાં આવશે અને આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ઝંડો લહેરાશે.

Leave a comment

Trending