પંજાબ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. બળાત્કાર અને છેતરપિંડી જેવા ગંભીર આરોપોમાં છેલ્લા છ મહિનાથી ફરાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાની પંજાબ પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 48 કલાકમાં ધરપકડ થનારા તે બીજો વર્તમાન ધારાસભ્ય છે. આ પહેલા સોમવારે પૂર્વ પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરની આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
આપ ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા વિરુદ્ધ બળાત્કાર, છેતરપિંડી અને ગુનાહિત ધમકી જેવી ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ થઇ હતી. ધરપકડથી બચવા માટે તે 2 સપ્ટેમ્બર, 2025થી જ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. વારંવાર સમન્સ મોકલવા છતાં પોલીસ સમક્ષ હાજર ન થતા કોર્ટે તેને પ્રોક્લેમ ઓફેન્ડર જાહેર કર્યો હતો.
પઠાણમાજરા દેશ છોડીને ભાગી ન જાય તે માટે પોલીસ દ્વારા લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. પોલીસની એક વિશેષ ટીમ છેલ્લા ઘણા સમયથી તેના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી હતી. અંતે, સતત પ્રયત્નો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે તેને દબોચી લીધો હતો. હવે પોલીસ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે જેથી આ કેસમાં ઊંડી તપાસ થઈ શકે.
માત્ર બે દિવસમાં બે ધારાસભ્યોની ધરપકડને કારણે પંજાબની ભગવંત માન સરકાર રક્ષણાત્મક મોડમાં આવી ગઈ છે. વિપક્ષો આ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે અને રાજ્યની કાયદો-વ્યવસ્થા તેમજ સત્તાધારી પક્ષના નેતાઓના ચારિત્ર્ય પર સવાલો ઉઠાવી રહ્યા છે. હાલ તો માન સરકાર વધારે એક મામલે ભોંઠી પડી રહી હોય તેવી સ્થિતિ પેદા થઇ છે.
જ્યાં એક તરફ લાલજીત ભુલ્લરનો કેસ એક અધિકારીની આત્મહત્યા સાથે જોડાયેલો છે, ત્યાં બીજી તરફ પઠાણમાજરા પર લાગેલા બળાત્કારના ગંભીર આરોપોએ આ મામલાને વધુ સંવેદનશીલ બનાવી દીધો છે. હાલમાં પોલીસે સત્તાવાર રીતે ધરપકડની પુષ્ટિ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





Leave a comment