લખનૌમાં 250થી વધુ ઝૂંપડીઓ બળી ગઈ, 30 સિલિન્ડર ફાટ્યા

લખનઉમાં બુધવારે સાંજે 5:30 વાગ્યે ભીષણ આગ લાગી. વિકાસનગર વિસ્તારમાં લાગેલી આ આગથી 30થી વધુ સિલિન્ડર ફાટ્યા. 250થી વધુ ઝૂંપડપટ્ટીઓ બળીને રાખ થઈ ગઈ. લગભગ 10 કિલોમીટર દૂર સુધી આગની જ્વાળાઓ જોવા મળી. આગ લાગ્યા બાદ આસપાસના લગભગ 20 મકાનો ખાલી કરાવવામાં આવ્યા.

ફાયર બ્રિગેડની 20 ગાડીઓએ લગભગ 3 કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો. આ દરમિયાન વિસ્તારની લાઈટ કાપી નાખવામાં આવી. એક યુવકનું કહેવું છે કે તેના 4 બાળકો બળીને મૃત્યુ પામ્યા છે. બાકીના લોકોનો બધો સામાન બળીને રાખ થઈ ગયો. જેમની ઝૂંપડીઓ બળી, તે લોકો રડતા-કકળતા રહ્યા. કેટલાક લોકોનો આરોપ છે કે જાણી જોઈને આગ લગાવવામાં આવી છે.

સીએમ યોગીએ આગની ઘટનાની નોંધ લેતા અધિકારીઓને તરત ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને અધિકારીઓને ઝડપથી બચાવ કાર્ય કરવાના આદેશ આપ્યા.

આગ લાગવાની આ ઘટનામાં કેટલીક ગાયો પણ દાઝી ગઈ છે. ઘટનાસ્થળે પશુ કલ્યાણ અધિકારી અભિનવ વર્મા પણ પહોંચ્યા છે. તેમનું કહેવું છે કે અકસ્માતમાં ઘાયલ બિનવારસી પ્રાણીઓને નગર નિગમની ગૌશાળામાં મોકલવામાં આવી રહ્યા છે. બે ગાયોની સારવાર કરવામાં આવી રહી છે અને 6 ગાયોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

વિકાસનગર ઝૂંપડપટ્ટીમાં લાગેલી ભીષણ આગની ઘટના અંગે રક્ષામંત્રી રાજનાથ સિંહે જિલ્લા મેજિસ્ટ્રેટ (કલેક્ટર) સાથે વાત કરી હતી. તેમણે રાહત કામગીરી ઝડપી કરવાના નિર્દેશ આપ્યા હતા. ભાજપ લખનઉ મહાનગર પ્રમુખ આનંદ દ્વિવેદીએ જણાવ્યું કે વિકાસનગરમાં લાગેલી આગની ઘટના પર રક્ષામંત્રીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

રક્ષામંત્રીએ કહ્યું કે પ્રભાવિત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવે. ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવામાં આવે. તેમણે વહીવટીતંત્રને નિર્દેશ આપ્યા કે પીડિત પરિવારો માટે તાત્કાલિક મદદ કરવામાં આવે.

જ્યાં આગ લાગી છે, તે અંગે લોકોનું કહેવું છે કે તે જમીન લખનઉ વિકાસ સત્તામંડળ (LDA)ની છે. આ જમીન બાબતે ખેડૂતો સાથે વળતર અંગેનો કેસ ચાલી રહ્યો છે. અહીં મોટાભાગના લોકો મજૂરી અને કચરો વીણવાનું કામ કરે છે. જેમાં અસમના રહેવાસીઓની સંખ્યા ઘણી વધારે છે.

Leave a comment

Trending