સામાન્ય વહીવટ વિભાગે IAS અધિકારીની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક કરી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા IAS અધિકારીઓની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂકનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં IAS બી.એ. શાહની બદલી કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ અને એક્સ-ઓફિસિયો સેક્રેટરી (મહેસૂલ વિભાગ)માં તો IAS આર્દ્રા અગ્રવાલ, IAS ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે IAS અરવિંદ વી.ની નાણાં વિભાગ (બજેટ)ના સંયુક્ત સચિવ તરીકે નવી નિમણૂક કરવામાં આવી છે.

કમિશનર ઓફ હેલ્થ (રૂરલ) અને નેશનલ હેલ્થ મિશનના એક્સ-ઓફિસિયો મિશન ડાયરેક્ટર તરીકે કાર્યરત ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણને હવે ગાંધીનગર ખાતે ‘કમિશનર, ન્યુટ્રિશન મિશન’નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ પોસ્ટને સરકારના ‘સેક્રેટરી’ સમકક્ષ ગણવામાં આવી છે. 

ગાંધીનગરના સેટલમેન્ટ કમિશનર અને ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ તરીકે ફરજ બજાવતા IAS બી.એ. શાહ, જેઓ અત્યાર સુધી જમીન સુધારણા કમિશનર અને મહેસૂલ વિભાગના પદનો વધારાનો ચાર્જ સંભાળતા હતા, તેમની હવે કાયમી ધોરણે કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ અને એક્સ-ઓફિસિયો સેક્રેટરી (મહેસૂલ વિભાગ) તરીકે બદલી અને નિમણૂક કરવામાં આવી છે.  

જી.એ.ડી. (પ્લાનિંગ)ના સેક્રેટરી IAS આર્દ્રા અગ્રવાલને IAS બી.એ. શાહની બદલી થતાં ખાલી પડેલી સેટલમેન્ટ કમિશનર અને ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સની જગ્યાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.  

વર્ષ 2014ની બેચના IAS અધિકારી અરવિંદ વી.ને સચિવાલય, ગાંધીનગર ખાતે નાણાં વિભાગ (બજેટ)ના સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમને અમદાવાદના એડિશનલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સનો વધારાનો ચાર્જ પણ સોંપાયો છે, જેથી IAS ડૉ. પ્રશાંત જીલોવા આ ચાર્જમાંથી મુક્ત થશે.

Leave a comment

Trending