નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે કેન્દ્રીય મંત્રી પરિષદની એક અત્યંત મહત્ત્વની અને લાંબી બેઠક યોજાઈ હતી. લગભગ સાડા ચાર કલાક ચાલેલી આ મેરેથોન બેઠકમાં પીએમ મોદીએ તમામ મંત્રીઓને આગામી સમય માટે સ્પષ્ટ રોડમેપ આપી દીધો છે. આવતા મહિને કેન્દ્રમાં મોદી સરકાર પોતાના સફળ 12 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે, તે પહેલાં જ યોજાયેલી આ હાઈ-લેવલ મીટિંગથી રાજકીય ગરમાવો આવી ગયો છે.
પીએમ મોદીએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી શેર કરતા લખ્યું: ગઈકાલે મંત્રી પરિષદની ખૂબ જ ફળદાયી બેઠક થઈ. અમે ‘ઈઝ ઓફ લિવિંગ’ (સરળ જીવન), ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ (વેપારમાં સરળતા)ને પ્રોત્સાહન આપવા અને આપણા સહિયારા સપના ‘વિકસિત ભારત’ને સાકાર કરવા માટે સુધારાને કેવી રીતે આગળ વધારવા તે અંગે વિચારો અને શ્રેષ્ઠ પદ્ધતિઓની આપ-લે કરી.”
સૂત્રોના જણાવ્યા અનુસાર, બંધ બારણે યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાને મંત્રીઓને મંત્રીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભૂતકાળમાં શું થયું તે ભૂલી જાઓ, હવે માત્ર ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. તેમણે સ્પષ્ટ કર્યું કે દરેક મંત્રાલયે ‘વિકસિત ભારત 2047’ના વિઝનને નજરમાં રાખીને કામ કરવું પડશે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે સુધારાઓ માત્ર કાગળ પર ન રહેવા જોઈએ, પરંતુ તેનાથી સામાન્ય નાગરિકો માટે શાસન વ્યવસ્થા વધુ ઝડપી, સરળ અને અસરકારક બનવી જોઈએ.
આ હાઈ-પ્રોફાઈલ મીટિંગમાં 9 મહત્ત્વના વિભાગો દ્વારા વડાપ્રધાન સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કૃષિ, વન, શ્રમ, માર્ગ પરિવહન, કોર્પોરેટ અફેર્સ, વિદેશ મંત્રાલય, વાણિજ્ય અને ઉર્જા મંત્રાલયનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ મંત્રીઓને આદેશ આપ્યો છે કે ઓફિસોમાં બિનજરૂરી અમલદારશાહીના કારણે ફાઈલો અટકવી ન જોઈએ. ફાઈલોની અવરજવર સુપરફાસ્ટ થવી જોઈએ જેથી ઉપલબ્ધ સમયનો મહત્તમ સદુપયોગ થઈ શકે.
મંત્રી પરિષદની બેઠકની 5 મોટી વાતો
– 11 મહિનાના લાંબા અંતરાલ બાદ આખી મંત્રી પરિષદની પ્રથમ બેઠક મળી.
– છેલ્લા 12 વર્ષની સિદ્ધિઓ અને છેલ્લા 2 વર્ષના સુધારાનો વિગતવાર રિપોર્ટ રજૂ થયો.
– પીએમ મોદીએ મંત્રીઓને સરકારની કલ્યાણકારી યોજનાઓ સીધી જનતા સુધી પહોંચાડવા કહ્યું.
– વિદેશ મંત્રી એસ. જયશંકરે વડાપ્રધાન મોદીના તાજેતરના 5 દેશોના પ્રવાસની વિગતો આપી.
– પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ભારતમાં આર્થિક સુધારા વધુ ઝડપી બનાવવાની વ્યૂહરચના.
આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે રાજકીય ગરિમારો છે કે 9 જૂન પહેલા મોદી કેબિનેટમાં મોટો ફેરબદલ થઈ શકે છે. 9 જૂને મોદી સરકારના કેન્દ્રમાં 12 વર્ષ અને તેમની ત્રીજી ટર્મના 2 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. પીએમ મોદી આગામી દિવસોમાં વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે દેશના આર્થિક અને સામાજિક સુધારાની ગતિ વધુ તેજ કરવા માંગે છે તે આ બેઠક પરથી સાબિત થાય છે.






Leave a comment