સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં સરકાર 8% હિસ્સો વેચશે

સરકારે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ઓફર ફોર સેલ (OFS) દ્વારા પોતાનો 8% હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે. આ OFS માટે સરકારે ફ્લોર પ્રાઇસ ₹31 પ્રતિ શેર નક્કી કરી છે, જે બેંકના ગુરુવારના ક્લોઝિંગ પ્રાઇસ ₹33.94 કરતાં 8.5% થી વધુના ડિસ્કાઉન્ટ પર છે.

આ નિર્ણય પછી આજે એટલે કે શુક્રવાર, 22 મેના રોજ બજારમાં સેન્ટ્રલ બેંકના શેરમાં 5% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. તે 32 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એક મહિનામાં તે 13% થી વધુ તૂટ્યો છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) દ્વારા જાહેર કરાયેલી નોટિસ મુજબ, આ OFS નોન-રીટેલ રોકાણકારો માટે 22 મે 2026 ના રોજ ખુલશે.

જ્યારે, રીટેલ રોકાણકારો અને બેંકના કર્મચારીઓ આ ઇશ્યુ માટે 25 મે 2026 ના રોજ પોતાની બોલી લગાવી શકશે. બંને દિવસોએ ટ્રેડિંગ દરમિયાન સવારે 9:15 વાગ્યાથી બપોરના 3:30 વાગ્યા સુધી બોલી લગાવી શકાય છે.

  • બેઝ ઓફરમાં 4% હિસ્સેદારી, માગ રહેતા 4% વધારાના વેચવાનો વિકલ્પ
  • બેઝ ઓફર હેઠળ સરકાર 4% એટલે કે 36,20,56,051 ઇક્વિટી શેર વેચશે.
  • જો રોકાણકારોની માગ સારી રહેશે તો સરકાર આટલા જ વધુ શેર વેચશે.

વર્તમાનમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં સરકારની હિસ્સેદારી 89.27% છે. સરકારની આ હિસ્સેદારીનું વેચાણ સરકારની વિનિવેશ અને પબ્લિક શેરહોલ્ડિંગ નિયમોના પાલનની રણનીતિનો ભાગ છે.

ઓફર ડોક્યુમેન્ટ અનુસાર, નોન-રીટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવેલા શેરોમાંથી ઓછામાં ઓછો 25% હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ કંપનીઓને ફાળવવામાં આવશે.

જોકે, આ માટે જરૂરી છે કે તેમની બોલીઓ ફ્લોર પ્રાઇસ અથવા તેનાથી ઉપરની કિંમતે મળે. નોન-રિટેલ રોકાણકારો તેમની ફાળવણી ન થયેલી બિડ્સને બીજા દિવસે (T+1 day) માટે પણ કેરી ફોરવર્ડ કરી શકે છે.

આ ઓફર ફોર સેલમાંથી ઓછામાં ઓછા 10% શેર રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યા છે. રિટેલ રોકાણકારો આ મિકેનિઝમ હેઠળ કટ-ઓફ પ્રાઇસ પર પણ બોલી લગાવવા પાત્ર હશે. આ ઉપરાંત, બેંકના પાત્ર કર્મચારીઓ માટે 75,00,000 શેર અલગથી નક્કી કરવામાં આવ્યા છે.

પાત્ર કર્મચારીઓ ₹5 લાખ સુધીના મૂલ્યના શેર માટે અરજી કરી શકે છે. આ સાથે તેઓ નિર્ધારિત નિયમો અને મર્યાદાઓ હેઠળ રિટેલ કેટેગરીમાં પણ અલગથી બોલી લગાવી શકે છે. કર્મચારીઓની પાત્રતાનો નિર્ણય બેંક દ્વારા સ્ટોક એક્સચેન્જો સાથે શેર કરવામાં આવેલી PAN કાર્ડ વિગતોના આધારે થશે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ હિસ્સેદારી વેચાણની પ્રક્રિયા દરમિયાન પણ બેંકના શેર સામાન્ય માર્કેટ સેગમેન્ટની જેમ જ શેરબજારમાં ટ્રેડ થતા રહેશે. જોકે, પર્યાપ્ત માગ ન હોવા અથવા બજાર સંબંધિત અન્ય કારણો જેવી કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં આ ઓફર પાછી ખેંચી અથવા રદ પણ કરી શકાય છે.

આ સમગ્ર ટ્રાન્ઝેક્શન માટે સરકારના બ્રોકર તરીકે ગોલ્ડમેન સૅક્સ (ઇન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડની નિમણૂક કરવામાં આવી છે. આ સંપૂર્ણ OFS સેબી (SEBI) ના નિયમો અને સ્ટોક એક્સચેન્જની ગાઇડલાઇન્સ હેઠળ આયોજિત કરવામાં આવી રહ્યું છે.

કોઈ લિસ્ટેડ કંપનીના પ્રમોટર્સ અથવા સરકાર બજાર દ્વારા સીધા રોકાણકારોને પોતાની હિસ્સેદારી વેચે છે ત્યારે તેને OFS કહેવાય છે.

જ્યારે ગ્રીન શૂ ઓપ્શન એક એવો વિકલ્પ છે, જે અંતર્ગત જો બજારમાં માગ વધુ હોય, તો પ્રમોટર નિર્ધારિત હિસ્સેદારી કરતાં વધુ શેર (આ કિસ્સામાં વધારાના 4%) વેચવાનો અધિકાર સુરક્ષિત રાખે છે.

Leave a comment

Trending