દેશની સૌથી મોટી સરકારી બેંક SBIના ગ્રાહકોએ શાખા સંબંધિત પોતાના તમામ જરૂરી કામ આજ (22 મે, શુક્રવાર) જ પતાવી લેવા જોઈએ. આવું એટલા માટે, કારણ કે 23 મે થી 28 મે 2026 ની વચ્ચે SBIની શાખાઓ સતત 6 દિવસ સુધી બંધ રહી શકે છે.
તેનું મુખ્ય કારણ વીકએન્ડ, કર્મચારીઓની પ્રસ્તાવિત બે દિવસની હડતાળ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા બકરીદ (ઈદ-ઉલ-અઝહા) માટે જાહેર કરાયેલી બે દિવસની રજાઓ છે.
- વીકએન્ડની રજાઓ: 23 મેના રોજ મહિનાનો ચોથો શનિવાર છે અને 24 મેના રોજ રવિવાર છે. નિયમ મુજબ, દેશની તમામ બેંકોમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા હોય છે, જેના કારણે આ બે દિવસ બેંકો બંધ રહેશે.
- SBI સ્ટાફની હડતાળ: ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશને પોતાની અનેક માંગણીઓને લઈને 25 અને 26 મે (સોમવાર અને મંગળવાર) ના રોજ દેશભરમાં બે દિવસની હડતાળનો પ્રસ્તાવ મૂક્યો છે. આનાથી બેંકોના કામકાજ પર સીધી અસર પડી શકે છે.
- બકરી ઈદની રજા: ભારતના અલગ-અલગ રાજ્યોમાં બકરી ઈદનો તહેવાર અલગ-અલગ દિવસે ઉજવવામાં આવશે, જેના માટે RBI એ બે દિવસની રજાઓ નક્કી કરી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં 27 મેના રોજ બકરી ઈદના કારણે SBI બંધ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં 28 મેના રોજ રજા રહેશે. જ્યારે જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં 27 અને 28 મે બંને દિવસ બેંકો બંધ રહેશે.
ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) એ તેની 16 માંગણીઓ માટે હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળ કર્મચારીઓના અધિકારોનું રક્ષણ કરવા, કામ કરવાની અનુકુળ પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરવા અને ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવી છે.
આ હડતાળ ‘વર્કમેન કેટેગરી’ (ક્લાર્ક અને અન્ય સ્ટાફ) ની હોવાથી, ચેક ક્લિયરિંગ, કેશ કાઉન્ટર અને પાસબુક અપડેટ જેવા કામો અટકી શકે છે.
SBI કર્મચારીઓની 16 મુખ્ય માંગણીઓ
મેસેન્જર્સની નવી ભરતી: બેંકમાં વર્ગ ચાર (મેસેન્જર્સ) ની ખાલી જગ્યાઓ પર તાત્કાલિક કાયમી ભરતી કરવામાં આવે.
સશસ્ત્ર ગાર્ડ્સ (Armed Guards) ની ભરતી: બેંકની સુરક્ષા અને શાખાઓની જરૂરિયાતો માટે પર્યાપ્ત આર્મ્ડ ગાર્ડ્સની નિમણૂક કરવામાં આવે.
NPSમાં વિકલ્પની સુવિધા: નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ આવતા કર્મચારીઓને પોતાનો ‘પેન્શન ફંડ મેનેજર’ પસંદ કરવાની સ્વતંત્રતા મળે.
ઇન્ટર સર્કલ ટ્રાન્સફર (ICT): 2019 પછી ભરતી થયેલા કર્મચારીઓને બીજા સર્કલમાં ટ્રાન્સફરની તક આપવામાં આવે.
આઉટસોર્સિંગ પર રોક: સ્થાયી સ્વરૂપના કામોને બાહ્ય એજન્સીઓને આપવાનું તરત બંધ કરવામાં આવે.
પર્યાપ્ત સ્ટાફની નિમણૂક: તમામ શાખાઓમાં કામના વધતા બોજને ધ્યાનમાં રાખીને પર્યાપ્ત સંખ્યામાં કર્મચારીઓની ભરતી થાય.
સમાનતા (Parity) નો મુદ્દો: સ્ટેટ બેંકમાં કર્મચારીઓ વચ્ચે વેતન અને અન્ય સુવિધાઓમાં આવતી અસમાનતાઓને દૂર કરવામાં આવે.
કરિયર પ્રોગ્રેશન સ્કીમની સમીક્ષા: કર્મચારીઓના પ્રમોશન અને કરિયર ગ્રોથ સાથે સંબંધિત વર્તમાન નીતિઓમાં સુધારો થાય.
નિવૃત્ત કર્મચારીઓને લાભ: 10મા દ્વિપક્ષીય કરાર હેઠળ નિવૃત્ત થયેલા કર્મચારીઓને ‘8મા સ્ટેગ્નેશન ઇન્ક્રીમેન્ટ’ નો લાભ આપવામાં આવે.
કન્સલ્ટેશન ચાર્જ: 15 જુલાઈ 2024થી લાગુ ફિઝિશિયન કન્સલ્ટેશન ચાર્જિસની સમીક્ષા અને તેમાં સુધારો.
મેડિકલ સ્કીમમાં સુધારો: મેડિકલ રિઇમ્બર્સમેન્ટ સ્કીમને વધુ સારી અને સરળ બનાવવામાં આવે.
પેન્શનમાં તમામ ભથ્થાં ઉમેરવા: 7મા દ્વિપક્ષીય કરાર હેઠળ નિવૃત્ત થયેલા કર્મચારીઓની પેન્શન ગણતરીમાં પગારના તમામ ઘટકોનો સમાવેશ કરવામાં આવે.
HRMS સમસ્યાઓનું નિરાકરણ: બેંકના HR સોફ્ટવેર (HRMS) માં આવી રહેલી ટેક્નિકલી મુશ્કેલીઓને કાયમી ધોરણે ઠીક કરવામાં આવે.
કર્મચારી નિર્દેશકની નિમણૂક: બેંકના બોર્ડમાં વર્કમેન કેટેગરીમાંથી એક નિર્દેશક નિયુક્ત કરવાની જૂની પરંપરા પુનર્સ્થાપિત થાય.
PF ટ્રસ્ટીનું નામાંકન: પ્રોવિડન્ટ ફંડ (PF) ટ્રસ્ટમાં કર્મચારીઓના પ્રતિનિધિની નિમણૂક કરવામાં આવે.
મિસ-સેલિંગ પર અંકુશ: ‘ક્રોસ-સેલિંગ’ (વીમો, મ્યુચ્યુઅલ ફંડ વગેરે વેચવા) ના નામે કર્મચારીઓ પર દબાણ કરીને ગ્રાહકોને ખોટી પ્રોડક્ટ વેચવાની બંધ થાય.





Leave a comment