ઉત્તર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે વાવ અને થરાદ પંથકમાં ફોર્મ ચકાસણી દરમિયાન વહીવટી તંત્રની કામગીરી વિવાદના ઘેરામાં આવી છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે અધિકારીઓ પર રાજકીય દબાણ હેઠળ પક્ષપાતી નીતિ અપનાવવાનો ગંભીર આક્ષેપ કરી આરપારની લડાઈના સંકેત આપ્યા છે.
થરાદની ભોરોલ જિલ્લા પંચાયત સીટ પર ઉમેદવાર જોગાજી રાજપૂતે કોંગ્રેસ અને ભાજપ એમ બંને પક્ષો તરફથી ફોર્મ ભરતા કાયદાકીય ગૂંચ ઉભી થઈ છે. આ મામલે ગેનીબેને પ્રહાર કરતા જણાવ્યું કે, ‘ચૂંટણીના નિયમ મુજબ જે ફોર્મ સમય ક્રમમાં પ્રથમ ભરાયું હોય તેને જ માન્યતા મળવી જોઈએ. તેમ છતાં વહીવટી તંત્ર સત્તાધારી પક્ષના ઈશારે ભેદભાવભર્યું વલણ દાખવી રહ્યું છે.’
ભાભર તાલુકાની મીઠા સીટ પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવતા મામલો ગરમાયો છે. ગેનીબેને આક્ષેપ કર્યો છે કે ‘પૂરતા દસ્તાવેજો હોવા છતાં રાજકીય દબાણ હેઠળ ફોર્મ રદ કરાયું છે, જ્યારે અન્ય ઉમેદવારના સમાન કિસ્સામાં ફોર્મ માન્ય રખાયું છે. જે અધિકારીઓ લોકશાહીની હત્યા કરી રહ્યા છે, તેમના નામ અમે જનતાની વચ્ચે જઈને જાહેર કરીશું અને આ અન્યાય સામે અમે હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું.’
ચૂંટણી ટાણે જ થરાદ તાલુકાના તેમના અત્યંત નજીકના સાથી (સારથિ) કે જેઓ ભાજપમાં જોડાઈ ગયા છે, તેના પર પ્રહાર કરતા ગેનીબેને જણાવ્યું કે, ‘જે લોકોએ પક્ષ અને જનતાના વિશ્વાસ સાથે દ્રોહ કર્યો છે, તેમને આવનારા દિવસોમાં પ્રજા જ પાઠ ભણાવશે. ગદ્દારી કરનારાઓને જનતા ક્યારેય માફ નહીં કરે.’
વહીવટી તંત્રને આડે હાથ લેતા સાંસદે ગેનીબેને કહ્યું કે, ‘અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસાથી પગાર મેળવે છે, કોઈ પક્ષના ગુલામ બનીને કામ ન કરવું જોઈએ. જો નિષ્પક્ષતા નહીં જળવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.’ કોંગ્રેસ નેતાના આ આક્રમક વલણથી સ્થાનિક વહીવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.





Leave a comment