રાઘવ ચઢ્ઢા બાદ હવે સચિન ‘પાયલટ’ પણ ભાજપમાં કરશે એન્ટ્રી?

આમ આદમી પાર્ટીના 10માંથી સાત સાંસદોએ પક્ષમાં બળવો કરીને ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાયલોટ અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ગેહલોત અને પાયલોટ એકબીજા પર અવાર-નવાર કટાક્ષ અને શાબ્દિક પ્રહારો કરતા રહે છે. જોકે ગેહલોતે AAPના બળવાખોર સાંસદોની ઘટના બાદ પાયલોટ પર આડકરું નિશાન સાધ્યું છે.

અશોક ગેહલોત પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election 2026)માં સભા ગજવીને જયપુર પરત આવ્યા હતા. તેમણે જયપુર એરપોર્ટ પર પહોંચીને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘હવે સચિન પાયલોટના બંને પગ કોંગ્રેસમાં છે. તેઓ સંપૂર્ણ કોંગ્રેસ સાથે છે. મને આશા છે કે, તેઓ હવે કોંગ્રેસને છોડવાનું વિચારશે નહીં. તેઓ આ સમજી પણ ગયા છે અને સુધરી પણ ગયા છે.’

ગેહલોતે પોતાની સરકારમાં માનેસર પ્રકરણનો ઉલ્લેખ કરી ભાજપ પર નિશાન સાધ્યું છે. ગેહલોતે કહ્યું કે, રાજસ્થાનમાં મારી સરકાર પાડવા માટે ભાજપે ષડયંત્ર રચ્યું હતું. ભાજપ પાયલટને ગેરમાર્ગે દોરીને માનેસર લઈ ગયા હતા, જોકે હવે પાયલટ સમજી ગયા છે અને સુધી પણ ગયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કોંગ્રેસની એકતાનો મેસેજ આપીને કહ્યું કે, ‘અમારી પાર્ટી એકજૂથ છે.

અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેના સંબંધો અવાર-નવાર ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા દિલ્હીમાં બંને વચ્ચેની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો. આમાં ગેહલોત-પાયલટ ઊત્સાહ સાથે હાથ મિલાવતા અને વાતચીત કરતા નજરે પડ્યા હતા. આ દરમિયાન ગેહલોતે પાયલોટ સાથે હાથ મિલાવીને હસતાં કહ્યું હતું કે, ‘પછી તમે કહેશો તે અમારી વચ્ચે બનતી નથી.’

Leave a comment

Trending