અમદાવાદ શહેરમાં ગુરુવારે સવારથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં આખા શહેરમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકના સમયગાળામાં પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં 5 થી 6 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે. આ આકાશી આફતને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, પ્રહલાદ નગરમાં વાહનો તરતા જોવા મળ્યા છે અને વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ જતાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે.
ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે જાણકારી મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાતચીત કરી. વડાપ્રધાને રાજ્યમાં ભારે વરસાદથી ઊભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોની રાહત, બચાવ અને સુરક્ષા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કામગીરી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી સાથે વાતચીત કરી. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ અંગે ગુજરાતને તમામ જરૂરી મદદ કરવાની ખાતરી આપી.
હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ, 23 જુલાઈએ બપોરે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં અમદાવાદ સહિત ગાંધીનગર, નવસારી, વલસાડ, ભરૂચ, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, વડોદરા, સુરત, ખેડા, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. લૉ ગાર્ડન, એસ.જી. હાઇવે સહિતના કેટલાક માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહારને અસર પહોંચી હતી અને લોકોને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કર્ણાવતી ક્લબથી ઈસ્કોન બ્રિજ વચ્ચેના માર્ગ પર પણ વરસાદી પાણી ભરાતા ટ્રાફિક ધીમો પડ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી સોશિયલ મીડિયા પર પાણી ભરાવાના વીડિયો અને તસવીરો પણ સામે આવ્યા છે. જોકે, સંબંધિત તંત્ર દ્વારા પાણીના ઝડપી નિકાલ અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ભારે વરસાદના કારણે ઝુંડાલ નજીક અપોલો સ્કૂલની બસ રસ્તામાં બંધ પડી હતી. સાવચેતીના ભાગરૂપે બસમાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ વિદ્યાર્થીને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
અમદાવાદ શહેરમાં પડેલા વરસાદ બાદ વિરાટનગરથી નિકોલ ગામ તરફ જતાં માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કેટલાક સ્થળોએ રસ્તા પર એટલું પાણી ભરાયું હતું કે પસાર થતી ગાડીઓના અડધા ટાયર સુધી પાણીમાં ડૂબી જતા જોવા મળ્યા. રોડ પર પાણી ભરાતા ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી. ખાસ કરીને ઓઢવ રિંગ રોડથી નિકોલ દાસ્તાન સર્કલ સુધીના વિસ્તારમાં પાણી ભરાવાને કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટ્રાફિકનું દબાણ વધતા ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વાહનોની અવરજવર સુચારૂ બને તે માટે ટ્રાફિકનું નિયમન તથા ક્લિયરન્સની કામગીરી હાથ ધરી હતી. જેના કારણે ધીમે ધીમે ટ્રાફિકની સ્થિતિમાં સુધારો નોંધાયો હતો.
સ્થાનિક વાહનચાલકોનું કહેવું છે કે, ભારે વરસાદ દરમિયાન આ માર્ગ પર વારંવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાથી ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થાય છે. તેઓએ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અસરકારક વ્યવસ્થા કરવાની માંગ વ્યક્ત કરી હતી. પ્રશાસન તરફથી વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને પાણી ભરાયેલા રસ્તાઓ પર ધીમી ગતિએ પસાર થવાની સલાહ આપવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં ગુરુવાર સવારથી વરસી રહેલા અતિભારે વરસાદ અને સમગ્ર શહેરમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના જિલ્લા કલેક્ટરની ખાસ સૂચના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં આવતીકાલે (શુક્રવારે) રજા જાહેર કરવામાં આવી છે.






Leave a comment