ઉત્તર ભારત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં અત્યારે સૂર્યદેવ આકરા પાણીએ છે. સરેરાશ તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે. વધતી ગરમીને કારણે બીમારીઓનો ખતરો વધતા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જનતા માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. આ સાથે જ હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોક વોર્ડ પણ સક્રિય કરી દેવામાં આવ્યા છે.

- નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યારે તાપમાન સતત ઊંચું રહે છે ત્યારે શરીરમાં અનેક સમસ્યાઓ ઉદભવે છે.
- શરીરનું તાપમાન અનિયંત્રિત થઈ જવું.
- શરીરમાં પાણીની ભારે અછત સર્જાવી.
- માંસપેશીઓમાં અસહ્ય ખેંચાણ અને દુખાવો.
સરકારે જણાવ્યું છે કે ગરમીની સૌથી વધુ અસર મજૂરો, બાળકો અને વૃદ્ધો પર થાય છે. જેથી શ્રમજીવીઓએ ફેક્ટરીઓ અને બાંધકામ સાઇટ પર પીવાના ઠંડા પાણી અને આરામ માટે છાંયડાની વ્યવસ્થા હોવી જોઈએ. જો મશીનો ગરમ હોય તો તેને ઢાંકીને રાખવા અને કામની ગતિ ધીમી રાખવા સૂચના અપાઈ છે. ઉપરાંત બાળકો માટે શાળાઓમાં બાળકોને સતત પાણી પીવા માટે પ્રોત્સાહિત કરવા અને પૂરતી વેન્ટિલેશન સુવિધા રાખવા જણાવાયું છે.
સરકારે હીટવેવનો સામનો કરવા માટે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના સફળ મોડેલને દેશભરમાં લાગુ કરવા પર ભાર મૂક્યો છે. બીજી તરફ, દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટરોએ હીટ ડોમ વિશે ચેતવણી આપી છે. ગીચ ઈમારતો ધરાવતા વિસ્તારોમાં ગરમી કેદ થઈ જાય છે, જેના કારણે તાપમાન અચાનક વધી જાય છે અને લોકો બીમાર પડે છે.
દિલ્હીની રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક માટે ખાસ વોર્ડ શરૂ કરાયો છે. અહીં દર્દીઓને ઠંડક આપવા માટે પાણીના મોટા ટબ અને સ્પેશિયલ બેડની વ્યવસ્થા છે. અત્યાર સુધી ગંભીર કેસો આવ્યા નથી, પરંતુ આગામી દિવસોમાં પારો વધવાની શક્યતા હોવાથી તંત્ર હાઈ એલર્ટ પર છે.





Leave a comment