જામીન મળ્યા બાદ તથ્ય પટેલ આજે જેલમાંથી બહાર આવ્યો

ઇસ્કોન ઓવરબ્રિજ પર બેફામ સ્પીડ ડ્રાઇવિંગ કરીને નિર્દોષ લોકોનો જીવ લેનારો તથ્ય પટેલ પોણા ત્રણ વર્ષે અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો છે. આ દરમિયાન તેને મીડિયાએ સવાલ કરતા તે મૌન રહ્યો હતો અને કોઈ જવાબ આપ્યા ન હતા. મહત્વનું છે કે જુલાઈ 2023માં અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 નિર્દોષ લોકોના જીવ લેનાર આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી હતી, ગત 27 મે 2026ના રોજ તેના નિયમિત જામીન મંજૂર કર્યા હતા.

કોર્ટના આદેશ અનુસાર, તથ્ય પટેલે અમદાવાદની ટ્રાયલ કોર્ટમાં 1 કરોડ રૂપિયા ડિપોઝિટ (જમા) કરાવી છે. જે બાદ તેનો સાબરમતી જેલમાંથી છૂટકારો થયો છે. તથ્યને છોડાવવા તેના વકીલ તેમજ પિતા પ્રજ્ઞેશ પટેલ જરૂરી કાગળિયા સાથે સાબરમતી જેલ પહોંચ્યા હતા. આરોપી તથ્ય પટેલ 2 વર્ષ 10 મહિના અને 14 દિવસે જેલમાંથી બહાર આવી ફોર્ચ્યુનર કારમાં તેના ઘરે ગયો. તથ્ય પટેલના વકીલના જણાવ્યા મુજબ નિયમિત જામીન માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે શરતો મૂકી હતી. જેમાં તથ્ય પટેલ દેશ છોડી શકશે નહીં તેમજ પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે.

19મી જુલાઈ, 2023ની રાત્રે આરોપી તથ્ય પટેલે જગુઆર કાર દ્વારા ઇસ્કોન બ્રિજ પર ભયંકર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 13 લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા. તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે IPC 279, 337, 338, 304, 308 અને મોટર વ્હિકલ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

20-7-2023: અમદાવાદના ઇસ્કોનબ્રિજ પર 9 લોકોને કારથી ઉડાવ્યા

27-7-2023: ચાર્જશીટ ફાઇલ થઈ

18-8-2023:  પ્રથમ જામીન અરજી ફાઇલ કરી

24-8-2023: જામીન અરજી ફગાવી દેવામાં આવી

4-10-2023: અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં બે કલમમાંથી ડિસ્ચાર્જ કરવા અરજી

21-10-2023: IPC 304 અને 308 કલમમાંથી ડિસ્ચાર્જ કરવા કરેલી અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી

23-8-2024: દાદાનું અવસાન થતાં પ્રથમવાર ગ્રામ્ય કોર્ટે હંગામી જામીન આપતા જેલ બહાર આવ્યો

3-12-2024: અમદાવાદ ગ્રામ્ય કોર્ટે રેગ્યુલર જામીન અરજી ફગાવી

મે, 2025: માતાની સારવાર માટે હાઇકોર્ટે 4 દિવસના હંગામી જામીન આપ્યા

જૂન, 2025: તથ્યની રેગ્યુલર જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી

ઓગસ્ટ, 2025: હાઇકોર્ટે રેગ્યુલર જામીન અરજી ફગાવી.

નવેમ્બર, 2025: સુપ્રીમ કોર્ટે ત્રણ સપ્તાહમાં ચાર્જફ્રેમ કરવા હુકમ કર્યો.

18-11-2025: અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તથ્ય પટેલ સામે ચાર્જફ્રેમ કરવામાં આવી.

1-12-2025: અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ટ્રાયલ શરૂ થયું

3-12-2025: IPC 304 અને 308 કલમમાંથી ડિસ્ચાર્જ કરવા કરેલી અરજી હાઇકોર્ટે નકારી.

27-5-2026: સુપ્રીમ કોર્ટે રેગ્યુલર જામીન આપ્યા.

03-06-2026: પોણા ત્રણ વર્ષે સાબરમતી જેલમાંથી બહાર આવ્યો 

Leave a comment

Trending