અમદાવાદમાં નમો સ્ટેડિયમ નજીક 18 મીટરનો રસ્તો 61 મીટર પહોળો કરવા ડિમોલિશન

અમદાવાદના સાબરમતી વોર્ડમાં આવેલ સાબરમતી ટોલનાકા (જનપથ ત્રણ રસ્તા) થી મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આર.ડી.પી. (RDP) અને ટી.પી. મુજબ, આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા અને ભવ્ય લુક આપવા માટે અમલીકરણની પ્રક્રિયા શરૂ કરાઈ છે. હાલ આ રોડની હયાત પહોળાઈ 18.00 મીટર છે, જેને વધારીને રેકોર્ડબ્રેક 61.00 મીટર પહોળો કરાશે.

રોડ લાઈનની કપાતમાં આવતી 50થી વધારે કોમર્શિયલ મિલકતોને તંત્ર દ્વારા અગાઉ જ નોટિસ ફટકારવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે વેપારીઓ સ્વેચ્છાએ પોતાના કોમર્શિયલ પ્રકારના બાંધકામો દૂર કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા સમજાવટની કામગીરી પણ કરાઈ હતી. આજે (નવમી જુલાઈઃ સવારથી જ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ મોટા કાફલા અને જેસીબી (JCB) મશીનો સાથે ઘટનાસ્થળે તહેનાત થઈ ગઈ છે અને રોડ નડતરરૂપ દબાણો તોડી પાડવાની ઓપરેશનલ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

આ રોડ પહોળો થવાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફની કનેક્ટિવિટી અત્યંત આધુનિક અને સરળ બનશે, જે મોટા આંતરરાષ્ટ્રીય આયોજનો વખતે ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં ભૂમિકા ભજવશે.

Leave a comment

Trending