CM શુભેન્દુની રેકી કરી રહેલો જૈશનો આતંકવાદી પકડાયો

બંગાળ પોલીસે પૂર્વ બર્ધમાન જિલ્લામાંથી જૈશ-એ-મોહમ્મદના શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે. બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ હામિદ મંડલ નામના આ વ્યક્તિને ગુરુવારે મોડી રાત્રે એક હાઉસિંગ કોમ્પ્લેક્સમાંથી પકડ્યો હતો.

પોલીસ સૂત્રોનું કહેવું છે કે તપાસ એજન્સીઓની નજરથી બચવા માટે મંડલ છેલ્લા બે થી ત્રણ મહિનાથી છુપાયેલો હતો. જોકે, પડોશીઓનો દાવો છે કે તે પરિવાર સાથે લગભગ દોઢ વર્ષથી ત્યાં રહેતો હતો.

પોલીસે તેની ધરપકડ કરીને બર્ધમાનની એક કોર્ટમાં હાજર કર્યો.

પોલીસને હામિદ મંડલના મોબાઈલ અને ઘરેથી કેટલાક એવા દસ્તાવેજો મળ્યા છે. જેના પરથી જાણવા મળ્યું છે કે તે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી વિશે માહિતી ભેગી કરી રહ્યો હતો. પોલીસને શંકા છે કે તે કોઈ હુમલાનું કાવતરું ઘડી રહ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, મંડલ પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલો હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે તે સજ્જાદ ભટનો નજીકનો સહયોગી છે, જેને 2019ના પુલવામા આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ્સમાંથી એક માનવામાં આવે છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં જૈશના એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકો ભરેલી કાર સીઆરપીએફ જવાનોની બસ સાથે અથડાવી હતી, જેમાં 40 જવાનો શહીદ થયા હતા.

શંકાસ્પદ આતંકવાદી પકડાયા પછી, ભાજપના પ્રવક્તા દેબજીત સરકારે આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળ દાયકાઓથી કટ્ટરપંથી ઇસ્લામિક જૂથો માટે સુરક્ષિત કોરિડોર રહ્યું છે. તેમણે દાવો કર્યો કે મમતા સરકારના 15 વર્ષમાં કટ્ટરપંથીઓને પ્રોત્સાહન મળ્યું છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે હવે રાજ્યની વિચારધારામાં ફેરફારને કારણે આતંકવાદીઓ તેને સુરક્ષિત ઠેકાણું માનતા નથી.

તેમણે એમ પણ આરોપ લગાવ્યો કે કટ્ટરપંથી જૂથો હવે તે નેતાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમણે કટ્ટરપંથીઓના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું છે.

Leave a comment

Trending